અમદાવાદ-મહેસાણા હાઈવે પર પાલાવાસણા ચોકડી ઉપર બની રહેલા ઓવરબ્રીજના સેફટી મુદ્દે ગુજરાત રોડ સેફટી ઓથોરીટીએ આ રોડના કોન્ટ્રાકટર મેસર્સ વાગડ કન્સ્ટ્રકશન કંપનીને નોટીસ ફટકારાઈ છે.
ઓવરબ્રીજની કામગીરી ચાલી રહી છે ત્યારે નિયમ મુજબની સલામતીની જે વ્યવસ્થા કરવી જોઈએ તે કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવી નથી. તેમજ આ બ્રીજની બન્ને બાજુ સર્વિસ રોડની ગુણવત્તા અત્યંત નબળી હોવાથી વાહન ચાલકો તથા અન્ય રાહદારીઓ, ટુ વ્હિલરોને અકસ્માતનું જોખમ વધી ગયું છે. અખબારોમાં આ બાબતે અહેવાલો પ્રસિદ્ધ થતાં ગાંધીનગર સ્થિત ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા મેસર્સ વાગડ કન્સ્ટ્રકશનના માલિકોને કડક કારણ દર્શક નોટીસ ફ્ટકારવામાં આવી છે. ધારાસભ્ય સહિતના અગ્રણીઓ તેમજ નાગરિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં આ અંગે કોઈ કાર્યવાહી ન કરતાં આખરે નોટિસ ફટકારવામાં આવી છે. ખેરવા, રામપુરા, પાલાવાસણા, શિવાલા સર્કલ તેમજ મોઢેરા અને બેચરાજી સર્કલ ઉપર પણ ચાલી રહેલા બ્રીજ નિર્માણમાં આ ઠેકેદાર દ્વારા સલામતીનું બિલકુલ ધ્યાન રાખવામાં આવ્યું નથી. બ્રીજની બન્ને બાજુ સર્વિસ રોડની ગુણવત્તા નબળી હોવાથી ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી એક્ટની કલમ 13,15,17,23 હેઠળ ઠેકેદારને નોટીસ ફ્ટકારી દિન-10માં સર્વિસ રોડ ઉપર નાગરિકો માટે સંપૂર્ણ સુવિધાજનક રસ્તો બનાવવા કડક તાકીદ કરવામાં આવી છે. જો સર્વિસ રોડની કામગીરી દિન-10માં સુધરશે નહિ તો ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા બ્રીજ બનાવનાર કંપની સામે કડક શિક્ષાત્મક પગલાં ભરાશે.