ચાણસ્મા થી મહેસાણા સુધીનાં હાઇવે માર્ગનું ફેરલેનમાં રૂપાંતરનું કામ હાલમાં ચાલું છે. તે દરમિયાન અનેક જગ્યાએ પાણીના નિકાલ માટે નાળા બનાવવામાં આવી રહ્યા છે જ્યારે ચાણસ્મા ખાતે પણ સરદારપુરા ચોકડી નજીક જુના નાળા બંધ કરી અન્યત્ર જગ્યાએ નવા નાળા નાખી દેવામાં આવતા નગરના અગ્રણીઓએ પાણીનો ભરાવો થશે તેવી ચિંતા વ્યક્ત કરી ફરીથી બંધ કરેલ નાળા ખોલી નવેસરથી ત્રણ નાળા મુકવામાં આવે તેવી માંગ કરી છે અને જો નહીં મુકવામાં આવે તો આંદોલનની પણ ચિમકી ઉચ્ચારી છે.
ચાણસ્મા શહેરમાં મહેસાણા હાઇવે પર સરદારપુરા ચોકડી અને જીતોડા ચોકડી વચ્ચે વર્ષો જુનું પાણીના નિકાલ માટે નાળું બનાવેલ હતું. જે ચોમાસામાં આગળના વિવિધ ગામોમાંથી આવતું વરસાદી પાણી નાળામાંથી પસાર થઈ છેક બ્રાહ્મણવાડા ખાતે નિકળતું પરંતુ હાલમાં ચાલી રહેલા ફેરલેન હાઇવેના કામકાજ દરમિયાન હાઇવે ઓથોરિટીના કોન્ટ્રાક્ટર દ્વારા આ નાળું બંધ કરી દેવામાં આવતા નગરજનોમાં ચિંતા વ્યાપી છે જેમાં તેમણે જણાવ્યું હતું કે બંધ કરેલ નાળાના કારણે ચોમાસામાં વરસાદી પાણી વહેશે ત્યારે બંને બાજુ પાણી રોકાશે અને નિકાલ નહીં થતા બંને તરફ્ એક બાજુ ચાણસ્માના ઇન્દિરા નગરમાં પાણી ઘુસી જશે તો બીજી તરફ્ જીતોડા તથા સરદારપુરા સહિતના ગામોને જોડતા માર્ગ પણ બંધ થઈ જશે જેથી સત્વરે નવેસરથી ત્રણ નાળા મુકવામાં આવે નહીંતર આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે.
નાળા નહીં ખોલે તો લોક આંદોલન કરી રોડ ખોદી નાંખીશું : ઉમેશભાઈ પટેલ
ચાણસ્માના સામાજિક અગ્રણી ઉમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વર્ષો જુના પાણીના નિકાલ માટે આ નાળું બનાવેલ હતું. જેમાં જાખાના,જીતોડા, સરદારપુરા સહીતના ગામોના વરસાદી પાણી ચાણસ્મા ખાતે આવેલ તળાવમા આવ્યા બાદ ઓવરફ્લો થઈ આ નાળાના માધ્યમથી મંડલોપ થઈ બ્રાહ્મણવાડા ખાતે નિકાલ થતું હતું. પરંતુ હાઇવે રોડના કામકાજ દરમિયાન વર્ષો જુનું પાણીના નિકાલ માટેનું નાળું બંધ કરી દેતા અને નવો બનતો હાઈવે પણ ખુબ ઉંચો રહેવાનો હોવાથી બંને બાજુ પાણી ભરાઈ રહેશે જેથી જીતોડા ,સરદારપુરા સહીતના ગામોને જોડતા માર્ગ પણ બંધ થઈ જશે તો ચાણસ્મા ના ઇન્દિરા નગરમાં પણ પાણી ઘુસી જશે જો નવેસરથી ત્રણ નાળા મુકવામાં નહીં આવે તો લોક આંદોલન કરી જેસીબીની મદદથી રોડ ખોદી નાખવાની પણ ચિમકી ઉચ્ચારી હતી.
આજુબાજુ બંને તરફ્ પાણી ભરાશે : વિષ્ણુભાઈ પટેલ (પૂર્વ નગરપાલિકા પ્રમુખ)
આ બાબતે ચાણસ્મા નગરપાલિકાના પુર્વ પ્રમુખ વિષ્ણુભાઈ પટેલે (ભગત) જણાવ્યું હતું કે હાલમાં ચાલી રહેલા રોડ કામમાં રોડનું લેવલ પણ ખુબ ઉંચુ છે જેથી આગળથી આવતા પાણી ઓવરફ્લો થઈ શકશે નહીં જેથી કરીને એક બાજુ જીતોડા, જાખના તથા સરદારપુરા સહિતના ગામોના વરસાદી પાણી ભરાવવાના કારણે સંપર્ક તુટશે તો બીજી તરફ્ ચાણસ્મા બાજું ભરાઈ રહેતું પાણી ઈન્દિરા નગરમાં ઘુસી જવાની પણ તેમણે શક્યતા વ્યક્ત કરી હતી જેથી હાલમાં બંધ કરેલ નાળા ખોલી નવેસરથી ત્રણ નાળા મુકવામાં આવે તેવી માંગ કરી છે.