રાજ્ય સરકાર દ્વારા જિલ્લામાં આવેલ પ્રવાસન સ્થળો માટે આંતર માળખાકીય સુવિધાઓ ઉભી કરવા અને સ્થળોનો સુઆયોજિત વિકાસ થાય તેવા અભિગમને અનુલક્ષીને જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રવાસન સમિતિની રચના કરવામાં આવી છે. શુક્રવારે મહેસાણા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર એસ.કે.પ્રજાપતિના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઇ હતી. ઉનાળાના વેકેશનમાં નાગરિકો ગુજરાતની કલા સાંસ્કૃતિક પ્રવાસન સ્થળોની મુલાકાત કરી શકે તે માટે મન ફાવે ત્યાં ફરો યોજના સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે જિલ્લાના યાત્રાધામ અને પ્રવાસન સ્થળોના વિકાસના કામો માટે અગાઉના વર્ષોમાં ફાળવવામાં આવેલ ગ્રાન્ટ અન્વયે પ્રગતિ તથા હાથ ધરેલ કામોની સમીક્ષા કરી જરૂરી સુચનાઓ આપી હતી. આ ઉપરાંત જિલ્લાના વિવિધ મંદિરો તથા યાત્રાધામોના વિકાસ માટે આવેલ દરખાસ્તો પર ચર્ચા વિચારણા કરી બહાલી આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ મયંકભાઇ નાયક, ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, કિરીટભાઈ પટેલ, ડૉ. સી.જે.ચાવડા, સરદારભાઈ ચૌધરી, સુખાજી ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જસમીન, નિવાસી અધિક કલેક્ટર જે.કે. જેગોડા, પ્રાંત અધિકારીઓ તેમજ સંબંધિત વિભાગના અધિકારી તથા કર્મચારીઓ સહિત સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.