માનવ આશ્રામ વિસનગર રોડ પર વરસાદી પાણી નિકાલની વ્યવસ્થાના અભાવે ચોમાસામાં જળબંબાકાર જેવી સ્થિતિ ઉભી થાય છે. આ વિસ્તારના રસ્તાઓ ઉપર વાહનો ચલાવવા મુશ્કેલ થઈ જાય છે. આ જટિલ અને ગંભીર સમસ્યાનો અંત લાવવા માટે મહેસાણા મહાનગપાલિકાએ ધારાસભ્યની ભલામણથી રૂ.24 કરોડ રોડ અને પાણી નિકાલની કેનાલ માટે મંજૂર કર્યા હતા. સોમેશ્વર મોલથી માનવ આશ્રામ સુધી બન્ને બાજુ કેનાલ બનાવી વરસાદી પાણીનો નિકાલ કરાશે. આ કામગીરી શરુ કરવામાં આવી છે. આગામી ચોમાસા પહેલા વરસાદી પાણીના નિકાલ માટેની કેનાલ બની જાય તે માટે મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલે કેનાલની જાત નિરીક્ષણ કરી કોન્ટ્રાકરને જરૂરી સુચનાઓ આપી હતી.
મહેસાણા શહેર હરણફાળ ભરી રહ્યું છે. મહેસાણા-1 માનવ આશ્રામ વિસ્તારમાં વસતા અનેક લોકોને વિવિધ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અહીંયા વસતા લોકો માટે વરસાદી પાણીના નિકાલની સમસ્યા માથાના દુઃખાવા સમાન બની ગયો છે. ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ અટકી જાય છે. આ વરસાદી પાણીનો તો નિકાલ થતો નથી અને પાછું ગટરનું પાણી બેક આવે છે. જેના કારણે માનવ આશ્રામ વિસ્તારની અનેક સોસાયટીઓમાં થોડા પણ વરસાદ પડે એટલે અહીં પાણી ભરાઈ જાય છે.
વર્ષોથી વરસાદી પાણી નિકાલના વહેણો એટલે કે નાળાઓની સફાઈ પાછળ લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. તેમ છતાં ધાર્યું પરિણામ મળતું નથી. પરિણામે માર્ગો ઉપર ગોઠણ ડૂબ પાણી ભરાય છે. અને વિસનગર રોડ પરની અનેક સોસાયટીઓમાં જવા માટે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. હવે, મહાનગપાલિકા બનતાની સાથે જ આ દિશામાં કાર્યવાહી થઈ રહી છે. મ્યુનિસિપલ કમિશ્નર રવિન્દ્ર ખટાલેએ શહેરમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. તંત્ર દ્વારા પ્રિમોન્સૂન કામગીરી શરૂ કરાઈ છે.