મહેસાણા જિલ્લામાં બે દાયકા પૂર્વે ટેકનોલોજી અને યોગ્ય આયોજનના અભાવે માતાના જીવને ભારે જોખમ થઇ પડતું હતુ.તો જિલ્લામાં માતાના મૃત્યુના આંકડા પણ ડરામણા હતા.ધીરે ધીરે જિલ્લા પરનું આ કલંક ભૂંસાઈ રહ્યું છે. આરોગ્ય વિભાગના અધિકારીઓના માર્ગદર્શન તેમજ સ્ટાફ્ની સતત દેખરેખના કારણે જિલ્લાએ પ્રસુતિ દરમિયાન થતા માતા મરણના બિહામણા આંકડાનુ કલંક ભુસ્યુ છે.જિલ્લામા ચાર વર્ષમાં આરોગ્ય વિભાગની સતત દેખરેખ અને તબીબોના માર્ગદર્શન થકી માતા મરણમા ભારે ઘટાડો જોવા મળ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા બહેનોને એનિમિયા મુક્ત બનાવવા માટે એક વર્ષમાં આયર્ન શુક્રોજ તેમજ એફ્.સી.એમ.જેવા મોંઘા ઇન્જેકશનોના ઉપયોગે પણ માતા મરણના આંકડાને અટકવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે.તો જોખમી તેમજ અતિ જોખમી સગર્ભાનું માઇક્રો બર્થ પ્લાનિંગ થકી માતા મરણના કુંદકે અને ભૂસકે વધી રહેલા ગ્રાફ્ પર અંકુશ લાવવામાં આવ્યો છે.
મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી ડૉ.હસરત જૈસમીનના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ભરત સોલંકી અને તેમની સમગ્ર ટીમે જિલ્લામાં માતા મરણના કલંકને ભૂંસવા બીડું ઉઠાવ્યું છે. જિલ્લામાં વર્ષ 2021-2022માં 39 માતાના પ્રસુતિ દરમિયાન મોત નોંધાયા હતા.જેને લઈ આરોગ્ય વિભાગ સહિત ટીમો ચિંતામાં મુકાઇ હતી.
ઉક્ત ડરામણા આંકડાને કાબુમાં લેવા માટે આરોગ્યની ટીમોએ પ્રથમ જિલ્લામાં ઝડપી સગર્ભા માતાઓને શોધી કાઢી હતી. ત્યારબાદ માઇક્રો બર્થ પ્લાનિંગ સાથે એમ્બ્યુલન્સની વ્યવસ્થા,તો જેઓના માં કાર્ડ ન હતા, તેમના માં કાર્ડ કાઢવામાં આવ્યા હતા. તો તેમનું સતત મોનીટરીંગ કરવામાં આવ્યું હતુ. જ્યારે જોખમી તેમજ અતિ જોખમી સગર્ભાઓને ફેલિક એસિડ ટેબલેટ, આયર્ન શુક્રોઝ, એફ્.સી.એમ.ઇન્જેક્શન અને બ્લડ ટ્રાસ્ફ્યુઝન ચડાવવામાં આવ્યું હતુ સગર્ભા બહેનોની સોનોગ્રાફીમા પણ વધારો કરાયો હતો, તો ડિલિવરી બાદ પણ માતા અને બાળકના રસીકરણનુ પણ આરોગ્યની મહિલા કર્મચારીઓ દ્વારા સતત ધ્યાન રાખવામાં આવ્યું હતુ. આરોગ્યની સમગ્ર ટીમની કામગીરી પગલે મહેસાણા જિલ્લામાં માતા મરણના કિસ્સામાં પાછલા ચાર વર્ષની તુલનામાં ભારે ઘટાડો કરવામાં સફ્ળતા પ્રાપ્ત થઈ છે.