ભારતમાં છેલ્લા કેટલાક સમયથી અસ્થમાના દર્દીઓમાં વધારો થયો છે. એક સંશોધન મુજબ અંદાજે 50-60 મિલિયન લોકો અસ્થમાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. 2020 ના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતીય વસ્તીના 4-5% લોકો અસ્થમાથી પીડાય છે અને અસ્થમા બીમારી જીવલેણ બનતા મોતના આંકમાં પણ વધારો જોવા મળ્યું છે. ગુજરાતમાં એક સર્વે મુજબ ગંભીર બીમારીમાંથી થતા મોતમાં લગભગ 4% મોત અસ્થમા પીડિત વ્યક્તિઓના થાય છે. કેમ દિવસેને દિવસે અસ્થમા દર્દીઓની સંખ્યા વધી રહી છે તેને લઈને ડોક્ટરો અને તજજ્ઞની ચિંતામાં વધારો થયો છે.
ડોક્ટરના મતે અસ્થમા દર્દીઓની સંખ્યા વધવા પાછળ પ્રદૂષણ તેમજ વારંવાર હવામાનમાં બદલાવ થવો અને ખાનપાનને માનવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયમાં અસ્થમા દર્દીઓની સંખ્યા વધવાના આ છે કારણો.
વાયુ પ્રદૂષણમાં વધારો: અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોમાં વાયુ પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. વિશેષ કરીને શિયાળામાં, જ્યારે હવા સ્થિર રહે છે, ત્યારે ધૂળ, ધુમાડો અને વાહનોથી ઉત્પન્ન થતી ઝેરી વાયુઓ હવામાં વધુ સમય સુધી રહે છે, જે શ્વાસ સંબંધિત બીમારીઓને પ્રેરિત કરે છે. 2019માં, અમદાવાદમાં અસ્થમાના કેસોમાં 30%નો વધારો નોંધાયો હતો, જેમાં મુખ્ય કારણો તરીકે વાહન વ્યવહાર અને ઔદ્યોગિક પ્રદૂષણ દર્શાવવામાં આવ્યા હતા .
હવામાનમાં અચાનક ફેરફાર: હવામાનમાં અચાનક તાપમાનમાં ઘટાડો અથવા વધારો, અનિયમિત વરસાદ અને શિયાળાની ઋતુમાં વધતી ઠંડી શ્વાસની સમસ્યાઓને ઊભી કરે છે. 2024માં, ગુજરાતમાં શ્વાસ સંબંધિત તાકીદની સારવારની ઘટનાઓમાં 83%નો વધારો નોંધાયો હતો, જેમાંથી 26% કેસ માત્ર અમદાવાદમાંથી હતા .
બાળકોમાં વધતી અસર: આજે બાળકોમાં પણ અસ્થમાની સમસ્યા વધી છે. PM2.5 જેવા સૂક્ષ્મ કણો બાળકોના શ્વાસતંત્રને વધુ અસર કરે છે. એક અભ્યાસ અનુસાર, PM2.5ના વધેલા સ્તર અને શિયાળાની ઋતુમાં બાળકોમાં શ્વાસની બીમારીઓના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આજે બાળકોમાં શારીરિક પ્રવૃત્તિ ઘટી છે તેમજ બેઠાડું જીવન થવાના કારણે જંકફૂડના કારણે બાળકો જે ભોજન કરે છે તેનું જલદી પાચન થતું નથી અને એટલે આ ખોરાક પરિવર્તિત થઈ શરીર પર અવળી અસર કરે છે. અને તેમના શ્વસનતંત્ર પર અસર કરે છે. કેટલીક વખત બાળકોને જંકફૂડના કારણે કોઈ વસ્તુની એલર્જી થતા ગળામાં સોજો આવે છે તેના કારણે શ્વાસનળી સાંકડી થઈ જાય છે અને તેમને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ બાબતને ગંભીરતાથી લેવામાં ના આવતા આગળ જતા બાળકો અસ્થમાની બિમારીનો શિકાર થાય છે.
ઔદ્યોગિક અને વાહન વ્યવહારનું પ્રદૂષણ:
દેશ એકબાજુએ પ્રગતિ કરી રહ્યો છે પરંતુ આ પ્રગતિ માટે થતા વિકાસના કામોના કારણે ત્યાં આસપાસ રહેતા નાગરિકો પર અસર થાય છે. ગુજરાતમાં અંકલેશ્વર, વાપી, વટવા, અમદાવાદ, ભાવનગર, જુનાગઢ, વડોદરા, રાજકોટ અને સુરત જેવા શહેરોમાં મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે. આ ઔદ્યોગિક એકમો પોતાના કચરાનો નિકાલ કરતા પ્રદૂષણનું સ્તર વધુ ઉંચું જાય છે. અને આ વિસ્તારોમાં રહેતા લોકોમાં અસ્થમા અને અન્ય શ્વાસ સંબંધિત બીમારીઓના કેસોમાં વધારો જોવા મળે છે. ઔદ્યોગિક એકમો પર અનેક વખત સરકાર દ્વારા આ બાબતે અંકુશ લાદવામાં આવ્યો છે છતાં પણ તેઓ પોતાની મનમાની કરતા નિયમ વિરુદ્ધ કચરાનો નિકાલ કરે છે અને નાગરિકો અસ્થમા બીમારીનો ભોગ બને છે.
જાગૃતિનો અભાવ અને સ્વ-ઉપચાર:
આજે પણ ઘણા લોકો અસ્થમાની બીમારીને ગંભીરતા પૂર્વક લેતા નથી અને સ્વ-ઉપચાર કરવા લાગે છે. કેટલાક સંજોગોમાં તે બીમારીને વધુ ગંભીર બનાવી શકે છે. ડૉક્ટરો અનુસાર, યોગ્ય દવાઓ અને નિયમિત તપાસ દ્વારા અસ્થમાને નિયંત્રિત કરી શકાય છે, પરંતુ જાગૃતિના અભાવના કારણે દર્દીઓ યોગ્ય સારવારથી વંચિત રહે છે અને કેટલાક સંજોગોમાં મોતનો શિકાર થાય છે.
કોઈપણ સમસ્યા હોય તેનું કારણ જાણવામાં આવે તો ઉપચાર વધુ અસરકારક બને છે. અંહી અસ્થમા બીમારી કેમ વધી તેના કારણો જણાવ્યા છીએ. લોકોએ આ બીમારીને કેન્સર અને ડાયાબિટીસ બીમારીની જેમ ગંભીર લઈ તેનું નિદાન થતા યોગ્ય ઉપચાર કરાવવો જોઈએ।