ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભગુડા નજીક આવેલા નાની જાગધાર ગામે મહિલા ઉપર સિંહે હુમલો કર્યો હતો, જેને લઇ ગંભીર હાલતે મહિલાને સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે,બનાવના પગલે વન વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. મહિલાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ અગાઉ સિંહની રંજાડ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હોવા છતાં પણ વન વિભાગ દ્વારા કોઈ પગલા ભરવામાં આવ્યા નથી જેને લઇ આ ઘટના ઘટી છે, તાત્કાલિક આ વિસ્તારમાં તે વન્ય પશુઓને અન્યત્ર ખસેડવામાં આવે તેવી માંગ કરવામાં આવી.
ભાવનગર જિલ્લામાં સિંહનો વસવાટ
ભાવનગર જિલ્લામાં સિંહનું પ્રથમ વસવાટ પાલીતાણાનું શેત્રુંજી ડેમનો કાંઠાળ વિસ્તાર છે. જો કે તેના પહેલા તેઓ જેસર પંથકમાં પણ હતા. પરંતુ છેલ્લા ઘણા સમયથી સિંહનો વસવાટ અલગ અલગ તાલુકાઓમાં થવા પામ્યો છે, ત્યારે વન વિભાગના એક અહેવાલ અનુસાર ભાવનગર જિલ્લામાં કુલ 302 સ્કવેર કિલોમીટર વન વિભાગનો વિસ્તાર છે. જેમાં 2020 મુજબ સિંહની વસ્તી 74 છે,વન વિભાગ દ્રારા સિંહ અને દીપડાને લઈ ખાસ નજર રાખવામાં આવતી હોય છે.
સિંહ માણસ પર કેમ કરે છે હુમલો
સામાન્ય રીતે ગીરમાં સિંહના ઇતિહાસ પર નજર કરીએ તો, સિંહ પરીવાર ઇરાદાપૂર્વક કે શિકાર કરવાના ઇરાદે માનવ પર હુમલો ક્યારેય નથી કરતા. સિંહ અને માનવો એકબીજાને પરિવાર માનીને જંગલમાં જોવા મળે છે, પરંતુ કેટલીક આકસ્મિક અને વિપરીત પરિસ્થિતિમાં સિંહ માનવ પર હુમલો કરે છે તેવા બનાવો પ્રકાશમાં આવતા રહે છે. સમગ્ર વિશ્વમાં જોવા મળતા સિંહોના ખોરાક તરીકે પણ માણસ ક્યારેય જોવા મળ્યા નથી. આવી પરિસ્થિતિમાં સિંહો દ્વારા માનવ હુમલાની ઘટના ચિંતા ઉપજાવે તેવી છે. સામાન્ય રીતે કોઈપણ સિંહ કે સિંહણ બીમાર હોય વૃદ્ધાવસ્થા હોય શીકાર પાછળ દોડી શકવાની ક્ષમતા ગુમાવી ચૂક્યા હોય, દાંતને ખૂબ મોટું નુકસાન થયું હોય અથવા તો તે અશક્ત હોય આવી પરિસ્થિતિ માટે તેની સામે આવેલા કોઈ વ્યક્તિ પર હુમલો કરી શકે છે, પરંતુ આ પ્રકારની શક્યતા પણ એકદમ નહીંવત જોવા મળે છે.