ખાણ ખનીજ વિભાગ વડોદરા દ્વારા શિનોર, માલસર અને માંડવા નર્મદા નદીના પટમાં રેતીના બ્લોક ફળવણીની જાહેર હરાજીની પ્રક્રિયા હાથ ધરાઈ છે, પરંતુ માલસર – અસા પુલને નુકસાન ના થાય તે રીતે બ્લોકની ફળવણી કરવા શિનોર તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા ઉચ્ચ કક્ષાએ લેખીત રજૂઆત કરાઈ છે.
શિનોર તાલુકામાંથી પસાર થતી નર્મદા નદી પર એક વર્ષ અગાઉ રૂ. 225 કરોડના ખર્ચે તૈયાર થયેલ માલસર – અસા પુલનું લોકાર્પણ કરવામાં આવેલ છે. શિનોર તાલુકાના શિનોર, માલસર અને માંડવા ગામમાં થી પસાર થતી નર્મદા નદીના પટમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા રેતીના બ્લોક ફળવણીની હરાજીની પ્રક્રિયા હાલ ચાલુ છે, નર્મદા નદી પરના માલસર -અસા પુલના પિલરોને નુકસાન ન થાય તે માટે હાલમાં ચાલતી રેતીના બ્લોકની ફળવણીની પ્રક્રિયા ને માલસર -અસા પુલની પૂર્વ પશ્ચિમ બંને બાજુએ એક કિલોમીટર સુધી રેતીના કોઈ પણ બ્લોકને એન.ઓ.સી. ન મળે તે બાબતે નિરીક્ષણ કરી યોગ્ય પગલાં લેવા તાલુકા પંચાયત પ્રમુખ અર્ચનાબેન રાયે મામલતદાર અને કલેક્ટર તથા ભૂસ્તર શાસ્ત્ર્રની કચેરી ખાણ ખનીજ વડોદરા ને લેખિત રજૂઆત કરી છે.