છેલ્લા એક વર્ષથી કેનેડા ભારત વિરુદ્ધ સતત નિવેદનબાજી કરી રહ્યું છે. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રૂડોના હમણાના નિવેદનથી જ બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ ઉભી થઇ ગઇ છે. ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જર મામલે કેનેડાના નિવેદન પર ભારતના પણ કડક પગલા લઇ રહ્યું છે. ભારતે કેનેડાના 6 રાજદ્વારીઓેને હાંકી કાઢ્યા છે. ત્યારે કેનેડા પ્રત્યે ભારતનું આ વલણ જોઇને કેનેડાને બરાબરનો પાઠ ભણાવવાના મૂડમાં ભારત લાગી રહ્યુ છે.
ભારત કેવી રીતે ભણાવશે પાઠ ?
કેનેડા અને ભારતના વેપારના સંબંધોની વાત કરીએ તો કેનેડામાં ભારત મોટા પાયે ઘણી વસ્તુઓ નિકાસ કરે છે. લગભગ દ્વીપક્ષીય વેપારની વાત કરીએ તો 67 કરોડ રૂપિયાનો છે. એટલે આ તણાવને કારણે વેપાર તો દાવ પર છે જ પરંતુ કેનેડાને ભારત બીજી રીતે પણ પાઠ ભણાવી શકે અને તે છે આવતા વર્ષે યોજાનારી G7ની 51મી સમિટ . જેમાં ભારતની સાથે ઘણા દેશો કેનેડાના મહેમાન બનશે. કારણ કે જી7 સમિટની અધ્યતા કેનેડા કરવાનું છે.
G7ની 51મી સમિટ યોજાશે કેનેડામાં
મહત્વનું છે કે G7 દેશોમાં કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, અમેરિકા અને યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે. પરંતુ દર વર્ષે તેની બેઠકમાં અન્ય ઘણા દેશોને આમંત્રણ આપવામાં આવે છે. ગયા વર્ષે ઇટાલીમાં આયોજિત 50મી સમિટમાં ભારતને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું, જ્યાં ભારતીય પીએમ મોદીનું ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે ભારત આવતા વર્ષે કેનેડામાં યોજાનારી G7 સમિટનો બહિષ્કાર કરીને કેનેડાને પાઠ ભણાવી શકે છે. ટ્રુડોના નિવેદન બાદ વિદેશ મંત્રાલયની પ્રતિક્રિયા પરથી એવું લાગી રહ્યું છે કે ભારત કેનેડા સામે કેટલીક કડક કાર્યવાહી કરી શકે છે.
ટ્રુડોએ ભારત પર લગાવ્યા આક્ષેપ
ટ્રુડોએ હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસ પર બોલતા કહ્યું, “અમે આ લડાઈ નથી ઈચ્છતા, પરંતુ દેખીતી રીતે કેનેડાની ધરતી પર કેનેડિયનની હત્યા એવી બાબત નથી જેને આપણે એક દેશ તરીકે અવગણી શકીએ. ટ્રુડોએ કહ્યું કે અમારી પાસે સ્પષ્ટ અને નક્કર પુરાવા છે. ભારત સરકારના એજન્ટો એવી પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે જે જાહેર સલામતી માટે ખતરો પેદા કરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, RCMPએ પુરાવાઓ શેર કરવા માટે ભારતીય અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી, જેમાં નિષ્કર્ષ આવ્યો હતો કે ભારત સરકારના છ એજન્ટ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હતા. જો કે ભારતના વિદેશ મંત્રાલયે આ આરોપોને ફગાવી દીધા હતા અને તેને પાયા વિહોણા ગણાવ્યા હતા. MEAએ કહ્યું કે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પોતાના રાજકીય એજન્ડાને કારણે આવા પાયાવિહોણા આરોપો લગાવીને ભારતની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.