અમદાવાદ શહેરમાં રોગચાળાની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે, ત્યારે આરોગ્ય વિભાગને તો એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ જોવા મળી રહી છે, હવે શહેરમાં ડેન્ગ્યુના કેસ સાથે મેલેરિયા, ચિકનગુનિયાના કેસ વધ્યા છે.
સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં 10,742 ઓપીડી આવી
સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં 10,742 ઓપીડી આવી છે, જ્યારે છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુના 305 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 35 કેસ પોઝિટિવ એડમિટ કરવાની ફરજ પડી છે તો મેલેરિયાના 408 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી 44 કેસ પોઝિટિવ છે. ત્યારે ચિકનગુનિયાના 45 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 10 કેસ પોઝિટિવ નોંધાયા છે. જે હાલમાં સોલા સિવિલમાં એડમિટ છે. સાથે જ વાયરલ ઈન્ફેકશનના પણ 1,507 કેસ નોંધાયા છે અને સ્વાઈન ફ્લૂનો 1 કેસ નોંધાયો છે, ત્યારે બાળકોની રોજની ઓપીડી 200ને પાર નોંધાઈ રહી છે, જેમાં બાળકોને પણ વાયરલ ઈન્ફેક્શનના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે.
શહેરની ઘણી હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી લાઈનો
તમને જણાવી દઈએ કે નવરાત્રિ બાદ સામાન્ય તાવના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે અને શહેરની ઘણી હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી લાઈનો લાગેલી છે. ત્યારે હાલમાં ડોક્ટર પણ લોકોને ખાસ કાળજી રાખવા માટે કહી રહ્યા છે અને સ્વચ્છ અને તાજો ખોરાક આરોગવા માટે અપીલ કરી રહ્યા છે અને પાણી ઉકાળીને પીવા માટેની જાણકારી આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં અગાઉ પણ ચોમાસા બાદ મોટાભાગના ઘરમાં બીમારીના ખાટલા જોવા મળ્યા હતા. ત્યારે ફરી એક વખત હવે રોગચાળાએ શહેરમાં માથું ઉંચક્યું છે.
જામખંભાળીયા રોગચાળાએ માથું ઉંચકયું
બીજી તરફ દેવભૂમિ દ્વારકાના જામખંભાળીયામાં પણ રોગચાળાએ માથું ઉંચકયું છે. સિવિલ હોસ્પિટલમાં બીમાર દર્દીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે અને કેસ બારી પર દર્દીઓની લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે. અહીં રોજની 800થી વધારે ઓપીડી નોંધાઈ રહી છે અને જેમાં ઝેરી મેલેરીયા અને તાવના કેસમાં વધારો જોવા મળ્યો છે. મચ્છરજન્ય રોગચાળો વધતા ગ્રામજનો પણ ખુબ જ હેરાન થઈ રહ્યા છે અને સાથે સાથે ડોકટર પણ ઓપીડીમાં સમયસર આવતા નહીં હોવાની ફરિયાદો દર્દીઓ કરી રહ્યા છે.