આર્થરાઈટિસ અને અસ્થમા જેવી સમસ્યામાં દર્દીને જલદી રાહત મળતી નથી. આજે વ્યસ્ત જીવનશૈલી અને ખાનપાનની આદતો બદલાવવાના કારણે કેન્સર, હાર્ટએટેક, ડાયાબિટીસ જેવી ગંભીર બીમારી લોકોમાં જોવા મળે છે. પહેલાના સમયમાં જ્યાં આર્થરાઇટિસ જેવી બીમારી વૃદ્ધ લોકોને થતું હોય તેવું જ માનવામાં આવતું હતું પરંતુ છેલ્લા કેટલાક સમયમાં યુવાન લોકોમાં પણ આ સમસ્યા જોવા મળી છે.
આર્થરાઈટસના દર્દીને હીટ અને કોલ્ડ થેરપી
જ્યારે પણ કોઈ ગંભીર બિમારીનું નિદાન થાય ત્યારે વ્યક્તિ જુદા-જુદા પ્રયોગ કરવા લાગે છે. આર્થરાઈટિસની બીમારી કે જેને સંધિવા પણ કહે છે તેમાં દર્દીને ઉઠવા-બેસવા ઉપરાંત સરળ રીતે ચાલવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં કયારેક દર્દી રાહત મેળવવા એન્ટિબાયોટિક દવાઓ લેવા લાગે છે. પરંતુ લાંબા સમય સુધી આ દવાઓ લેતા વધુ સ્વાસ્થ્ય સમસ્યા થવાની સંભાવના રહે છે એટલે આર્થરાઈટસના દર્દીઓને હીટ અને કોલ્ડ થેરપીની ડોક્ટર સલાહ આપે છે.
હીટ થેરપી : આરોગ્ય નિષ્ણાત મુજબ હીટ અને કોલ્ડ બંને થેરપી સંધિવાના દર્દીને રાહતરૂપ બની રહે છે. સંધિવાની ગંભીર સમસ્યા હોય તેમને સામાન્ય રીતે હીટ થેરપી આપવામાં આવે છે. જેથી કરીને બે હાડકાંના સાંધા વચ્ચે રહેલ સોજો અને વધુ પડતા જકડાઈ ગયેલા સાંધા થોડા હળવા થઈ શકે. જે સ્થાન પર દર્દીને તકલીફ થતી હોય ત્યાં હિટ થેરપી કરાય છે જેથી આસપાસના સ્નાયુઓ થોડા ઢીલા થાય છે. અને રક્ત પ્રવાહ વધુ સારી રીતે સંચાર થવાના કારણે સાંધાને ઢીલા થવામાં મદદ મળે છે. સાંધાની જડતા દૂર થતા દર્દીને રાહત મળે છે.
કોલ્ડ થેરાપી : જયારે કોલ્ડ થેરાપીમાં આર્થરાઈટિસના દર્દીને બળતરામાંથી રાહત મળે છે. દર્દીને સંધિવાના કારણે થતો દુઃખાવો પણ દૂર થાય છે. કોલ્ડ થેરપીમાં દર્દીને જે સ્થાન પર દુઃખાવો થતો હોય ત્યાં આઈસપેકની સારવાર આપવામાં આવે છે. આમાં દર્દીને સાંધા વચ્ચે થયેલ ગેપના કારણે બળતરા થાય છે તે સ્થાન પર આઈસપેક લગાવવામાં આવે છે. આ થેરપી રક્ત પ્રવાહ ધીમો કરીને બળતરા ઘટાડવામાં મદદ કરે છે. બરફ કુદરતી રીતે સુન્ન કરનાર એજન્ટ તરીકે કામ કરે છે અને પીડામાંથી રાહત આપે છે.
દર્દીની સમસ્યા મુજબ સારવાર
આરોગ્ય નિષ્ણાતના જણાવ્યા મુજબ આર્થરાઈટસના દર્દીની સમસ્યા જાણ્યા બાદ હીટ અને કોલ્ડની થેરપી આપવામાં આવે છે. જો દર્દીના સાંધા વધુ પડતા જડ હોય તો તેમના માટે હીટ થેરપી વધુ ફાયદાકરક છે. જ્યારે આર્થરાઈટિસના દર્દી સાંધામાં બળતરાનો અનુભવ કરતા હોય ત્યારે તેમને કોલ્ડ થેરપીની સારવાર આપવામાં આવે છે. જેથી સાંધામાં રહેલ સોજો દૂર થાય.