ગુજરાત સરકાર રાજ્યમાં ઓલિમ્પિક- 2036 યોજાય તેના માટે આયોજન કરી રહી છે. આ આંતરાષ્ટ્રીય રમતોત્સવ પૂર્વે સરકાર વર્ષ 2029ની યુથ ઓલિમ્પિક ગેમ્સના આયોજન માટે મજબૂતાઈથી દાવેદારી કરી શકે તેની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે અમદાવાદના ગોધાવી ગામની 500 એકરમાંથી એગ્રીકલ્ચર ઝોનને રદ કરવામાં આવ્યો છે.
તેના સ્થાને સાણંદ પાસે ગોધાવી ગામના 500 એકરને પ્રતિબંધિત સંસ્થાકીય, રમતગમત (ખેલકૂદ) અને આનંદપ્રમોદની પ્રવૃત્તિઓ માટે રિર્ઝવ જાહેર કરાયો છે. અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ- ઔડાના આ નિર્ણયથી હવે ગોધાવીના 500 એકરના 300થી વધુ રેવન્યુ સર્વે નંબરની જમીન KZ3 ઝોન હેઠળ આવરી લેવાઈ છે. જ્યાં હાઉસિંગ, કોર્મશિયલ અને રિટેલ જેવી અન્ય કોઈ જ પ્રવૃતિઓને મંજૂરી નહી મળી શકે.
ઔડા દ્વારા વર્ષ 2014માં અમદાવાદના ડેવલપમેન્ટ પ્લાન જાહેર કરાયો ત્યારે તેમાં સાણંદના ગોધાવી ગામના કેટલાક વિસ્તારને ખેતી માટે અનામત રખાયા હતા. જે પૈકીના 500 એકરને ઝોન ફેર કરીને KZ3 હેઠળ આવરી લેવાયો છે. શહેરી વિકાસ વિભાગે 12 સપ્ટેમ્બરે આ ફેરફારને મંજૂરી આપ્યાનું નોટિફિકેશન પ્રસિદ્ધ કર્યુ હતુ. જેનાથી હવે KZ3 ઝોન હેઠળની જમીનનો ઉપયોગ માત્ર શૈક્ષણિક હેતુઓ, રમતગમતની પ્રવૃતિઓ તેમજ આનંદપ્રમોદની પ્રવૃતિ માટે જ થઈ શકશે. આ ઝોનમાં હાઉસિંગ, કોર્મશિયલ અને રિટેલ જેવી પ્રવતિઓને મંજૂરી મળી શકશે નહી.