મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે અમદાવાદ ખાતેથી ગુજરાત સરકાર અને ગુજરાત રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે મીડિયાકર્મીઓની આરોગ્ય તપાસના રાજ્યવ્યાપી કાર્યક્રમનો આરંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ‘આ પ્રોગ્રામ હેઠળ પત્રકારના આરોગ્યની તપાસ કરાશે. ઘણી વખત કેટલાક અધિકારીઓ ધારાસભ્યની અને ક્યારેક ધારાસભ્ય અધિકારીઓની ફરિયાદ કરતા હોય છે. જેમાં ટ્રાન્સફર કરીએ તો ત્યા પણ કોઈ ચૂંટાયેલા સભ્યો તો હશે. જ્યારે ચૂંટાયેલા સભ્યને બીજા કેવા અધિકારી મળે તે કોને ખબર, આમ આપણે આવી જ પરિસ્થિતિમાં કામ કરવાનું છે તો, પદ્ધતિ એવી બનાવો કે કોઈને સ્ટ્રેસ ન આવે અને શાંતિથી કામ થાય. સમાજના ચોથા સ્તંભ તરીકે સમાજને જાગૃત કરવાનું કાર્ય કરતા પ્રિન્ટ તથા ઈલેક્ટ્રોનિક મીડિયા કર્મીઓ ડેડલાઇન સાચવી કામના ભારણથી લદાયેલા હોઈ સતત તણાવમાં જીવી રહ્યાં છે, તેથી એમનું સ્વાસ્થ્ય સચવાય તે આશય આવો આરોગ્ય તપાસનો કાર્યક્રમ દર છ મહિને કે દર વર્ષે યોજાશે.’
ગુજરાત રેડક્રોસ સોસાયટીના આગેવાન અજય પટેલે જણાવ્યું હતું કે, રેડક્રોસનું માળખું અત્યારે પાંચ જિલ્લામાં અસ્તિત્ત્વ ધરાવે છે અને 19 જિલ્લામાં માળખું ઝડપથી ઊભું કરાશે, જ્યારે રાજ્યમાં 28 બ્લડબૅન્ક રેડક્રોસ તરફથી કાર્યરત છે. મુખ્યમંત્રીના સચિવ અવન્તિકાસિંઘ ઔલખ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.