અમદાવાદના કાલુપુર વિસ્તારમાં ચોખા બજાર પાસે ઈલેકટ્રીક બીઆરટીએસ બસમાં અચાનક આગ લાગી હતી,મુસાફરો જીવ બચાવવા માટે દોડી ગયા હતા અને આ આગમાં કોઈ જાનહાનીના સમાચાર નથી,આગ કેમ લાગી તેનું કારણ અકબંધ છે પરંતુ આગમાં બસ બળીને ખાખ થઈ હતી,ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે.
બસમાં લાગી આગ
અમદાવાદની જીવાદોરી સમાન બીઆરટીએસ બસમાં આગ લાગવાની ઘટના બની છે જેને લઈ બસ આગમા બળીને ખાખ થઈ ગઈ છે,કાલુપુર વિસ્તારમાં ચોખા બજાર પાસે આગ લાગવાની ઘટના બની છે.મુસાફરોથી ભરેલી બસમાં અચાનક આગ લાગતા લોકોના જીવ તાળવે ચોંટયા હતા,આગ લાગી તે સમયે બસ લોકથઈ ગઈ હતી અને મહામુસીબતે ડ્રાઈવર અને મુસાફર બસની બહાર નીકળ્યા હતા.બસનું ઈમરજન્સી બટન પણ કામ લાગ્યું નહી.
ફાયર વિભાગે તપાસ હાથધરી
સમગ્ર ઘટનાને લઈ બસમાં કઈ રીતે આગ લાગી તેની તપાસ કરવામાં આવી રહી છે,ફાયર વિભાગની ત્રણ ગાડીએ આગ પર કાબુ મેળવ્યો છે,ઘટનામાં કોઈ જાનહાની ના થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.મુસાફરોના રેસ્કયૂ કરવામાં આવ્યા તેવી માહિતી સૂત્રો તરફથી મળી રહી છે ત્યારે અગાઉ પણ વસ્ત્રાલમાં ઈ-બસ ચાર્જિગ સ્ટેશનમાં આગ લાગી હતી અને તેમાં પણ બસને નુકસાન થયું હતુ,ત્યારે વારંવાર કેમ ઈલેકટ્રીક બીઆરટીએસ બસમાં આગ લાગે છે તે તપાસનો વિષય છે.
કેમ લાગી શકે છે આગ
ઈલેક્ટ્રીક બેટરી પેકમાં અનિયંત્રિત રીતે આગ લાગવાને થર્મલ રનઅવે કહે છે. લીથિયમ આયન બેટરીઓ ઓછા તાપમાનમાં સારૂ કામ કરે છે જ્યારે ઊંચા તાપમાન વાળા વિસ્તારમાં બેટરી પેકનું તાપમાન વધી જાય છે તે વધીને 90થી 100 ડિગ્રી સુધી પહોંચી શકે છે જેનાથી આગ લાગવાનું જોખમ ઊભું થઈ શકે છે.