અભિધમ્મ દિવસની ઉજવણી પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. વિજ્ઞાનભવનમાં બૌદ્ધ ભિક્ષુઓને સંબોધિત કરતાં વડાપ્રધાન મોદીએ બુદ્ધ પરત્વેની પોતાની આસ્થાની વાત કરી.
તેમણે પાલી ભાષાને સરકારે શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યાની અને ભારત પોતાની સંસ્કૃતિને નવેસરથી પેશ કરી રહ્યું હોવાની યાદ પણ અપાવી હતી. મોદીએ કહ્યું કે અભિધમ્મ દિવસ આપણને યાદ અપાવે છે કે કરુણા અને સદ્ભાવનાની મદદથી જ આપણે વિશ્વને બહેતર બનાવી શકીએ તેમ છીએ. ભગવાન બુદ્ધ સાથેના મારા તાણાવાણા મારા જન્મ સાથે જ વણાવાના શરૂ થયા હતા. મારો જન્મ ગુજરાતના તે વડનગરમાં થયો છે કે જે બૌદ્ધ ધર્મનું મોટું કેન્દ્ર હતું.શરદપૂર્ણિમાના પવિત્ર પર્વે ઋષિ વાલ્મીકિજીની જન્મજયંતી પણ છે. દેશવાસીઓને શરદપૂર્ણિમા અને વાલ્મીકિ જયંતીની શુભેચ્છા.
પાલી ભાષાને અપાયો શાસ્ત્રીય ભાષાનો દરજ્જો : મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે,’આ વર્ષે અભિધમ્મ દિવસના આયોજન સાથે એક ઐતિહાસિક ઉપલબ્ધિ પણ સંકળાયેલી છે. વિશ્વને પાલી ભાષામાં બૌદ્ધ વારસો મળ્યો છે. ભારત સરકારે આ મહિને જ પાલી ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો છે. પાલી ભાષાને શાસ્ત્રી ભાષા તરીકેનું સન્માન તે ભગવાન બુદ્ધના મહાન વારસાનું જ સન્માન છે. ધમ્મનના મૂળ ભાવને સમજવા પાલી ભાષાની સમજ જરૂરી છે.