ફરી એકવાર દેશમાં કોરોનાનો બિલ્લી પગે પગપેસારો થઇ રહ્યો છે. દેશમાં કોરોનાના કેસ ધીરે ધીરે વધી રહ્યા છે. પરિણામે કોરોનાને લઇને ફરીએકવાર લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. જો કે ડરવાની જરૂર નથી. સાવધાની રાખવાની જરૂર છે. યોગ્ય આહાર લેવાની જરૂર છે. ઇમ્યુનિટી વધારવાની જરૂર છે. ત્યારે આવો જાણીએ કેવા ઉકાળા પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે આવો જાણીએ,
ગિલોયનો ઉકાળો
ગિલોય સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે. તેનો ઉકાળો બનાવવા માટે બે કપ પાણીને ઉકાળીને તેમાં ગિલોય અને આદુ, હળદર અને થોડા તુલસીના પાન ઉમેરો અને તેને ધીમા તાપે પાણી અડધુ ન થાય ત્યાં સુધી ઉકાળવુ. પછી હુંફાળુ થાય એટલે ગાળીને પી લેવુ.
તુલસીના પાન અને હળદર
આ ઉકાળો બનાવવા માટે સૌ પ્રથમ એક તપેલીમાં 1 ગ્લાસ પાણી લઇને તેમાં આદુ, કાળા મરી, હળદર અને તુલસીના પાન નાંખો. 15 થી 20 મિનિટ સુધી ઉકાળો. જ્યારે પાણી અડધું થઈ જાય, ત્યારે ગેસ બંધ કરો અને તેને ગાળી લો. તમારા સ્વાદ મુજબ ગોળ ઉમેરીને પીવો..
મુલેઠી અને આદુનો ઉકાળો
આદુ અને મુલેઠીનો ઉકાળો પણ બનાવી શકાય છે. મુલેઠીમાં રહેલા ગુણધર્મો તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જરૂર મુજબ પાણી લો અને તેમાં તુલસી તથા આદ ઉમેરો. પછી તેમાં મુલેઠી પાવડર અને હળદર ઉમેરો અને પાણી અડધું થાય ત્યાં સુધી ઉકાળો. ઉદાહરણ તરીકે, જો તમે 2 ગ્લાસ પાણી રાખ્યું હોય, તો 1 ગ્લાસ પાણી વધે ત્યાં સુધી ઉકાળો પછી હવે તેને થોડું ઠંડુ થવા દો.
તજ અને લવિંગનો ઉકાળો
તજ અને લવિંગનો ઉકાળો પણ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરી શકે છે. આવી સ્થિતિમાં આ બંનેનો ઉકાળો બનાવીને તેનું સેવન કરી શકાય છે. આ ઉકાળો બનાવવા માટે, 1 કપ પાણીમાં 3 લવિંગ અને 1 ઇંચ તજ ઉકાળો. પાણી અડધું થઈ જાય એટલે ગેસ બંધ કરી દો. તેને ગાળી લો અને જ્યારે તે હૂંફાળું હોય ત્યારે પી લો.
હળદરનો ઉકાળો
હળદરનો ઉકાળો શરદી, સોજો અને દુખાવા જેવી સમસ્યાઓમાં અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. આ બનાવવા માટે, એક વાસણમાં પાણી લો અને તેમાં હળદરનો ટુકડો અથવા હળદર પાવડર ઉમેરો અને તેને મિક્સ કરો. પાણી અડધું થઈ જાય એટલે ગેસ બંધ કરી દો. જ્યારે તે હૂંફાળું હોય ત્યારે તેને પીવો.
Disclaimer: ઉકાળો બનાવવા માટે વાપરવામાં આવતી સામગ્રીની તાસીર ગરમ હોય છે એટલે તેને ગરમીના સમયમાં ઓછી માત્રામાં લેવામાં આવે છે. આથી રોજે ઉકાળાનુ સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)