ગઢડા(સ્વામીના) મુકામે ગ્રામ દેવતા અને સ્વામિનારાયણ સંપ્રદાયના આસ્થા સ્થાન ગોપીનાથજી દેવ મંદિર ખાતે ગોપીનાથજી મહારાજનો 196મો વાર્ષિક પાટોત્સવ દબદબાભેર યોજાયો હતો.
આચાર્ય રાકેશપ્રસાદજી દ્વારા અભિષેક કરાયો
આ પાટોત્સવ પ્રસંગે ચાલીસ વર્ષ પછી યજમાન તરીકે નિયમ મુજબ લાભ મળતા ઠક્કર પરિવારે પાટોત્સવના યજમાન તરીકે સેવા કરી હતી. આ દરમિયાન વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે ખાસ ઉપસ્થિત રહી અભિષેક અને આરતી કરી આશિર્વાદ પાઠવ્યા હતા. આ ધાર્મિક પ્રસંગે દેશ વિદેશથી અસંખ્ય હરીભક્તો અને સંતોએ હાજર રહી અભિષેક, પૂજન અને અન્નકૂટ સહિતનો દર્શન લાભ મેળવી ધન્યતા અનુભવી હતી. આ પાટોત્સવની ઉજવણી સાથે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પમાં અનેક લોકોએ રક્તદાન કર્યું હતુ. સમગ્ર પાટોત્સવ પ્રસંગે ઉપસ્થિત હરીભક્તો અને સંતોને ચેરમેન હરીજીવનદાસજી તથા ટ્રસ્ટી મંડળે આવકારી સુંદર વ્યવસ્થા હાથ ધરી હતી.
સ્વામિનારાયણ ભગવાનના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી
સ્વામિનારાયણ ભગવાને બસ્સો વર્ષ પહેલા સ્વયંના હસ્તે નિર્માણ કરેલા મંદિરો પૈકી સંપ્રદાયના મહત્વપૂર્ણ યાત્રા સ્થાન ગઢડાના મંદિરમાં ગોપીનાથજી મહારાજની પોતાના અંગે અંગના માપ મુજબની મૂર્તિ બનાવી અને પ્રતિષ્ઠા કરી ભક્તો માટે મૂર્તિમાં વિદ્યમાન હોવાનો કોલ આપ્યો હતો. તેમજ ગઢડાને જ પોતાનું ઘર માની અનેક જીવનલીલાઓ પણ ગઢડામાં કરી હતી. જેના કારણે સ્વામિનારાયણ સંપ્રદાયના મહત્વપૂર્ણ તીર્થધામ તરીકે ગોપીનાથજી મહારાજમાં શ્રદ્ધા ધરાવતા લાખો લોકો માટે ગઢડા અનન્ય સ્થાન ધરાવે છે.