- શહેરના મામા કોઠા રોડ નજીક મકાન થયું ધરાશાયી
- ફાયર વિભાગ દ્વારા જર્જરિત મકાનનો કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી
- સદ્દનસીબે મકાન ધરાશાયી થતાં કોઈ જાનહાનિ થઈ નથી
ભાવનગર શહેરમાં જર્જરીત મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. શહેરના મામા કોઠા રોડ નજીક આવેલું જર્જરિત મકાન ધરાશાયી થયું છે. જર્જરિત મકાન ધરાશાયી થતાં ફાયરનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
ફાયર વિભાગ અને એસ્ટેટ વિભાગ દ્વારા જર્જરિત મકાનનો કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી
જો કે મકાન ધરાશાયી થતાં સદ્દનસીબે કોઈ જાન હાનિ થઈ નહતી અને ફાયર વિભાગ અને એસ્ટેટ વિભાગ દ્વારા જર્જરિત મકાનનો કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અચાનક જ મકાન ધરાશાયી થતાં આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને ફાયર વિભાગને તાત્કાલિક બનાવ અંગે જાણ કરવામાં આવી હતી.
ગઢડાના જીનનાકા વિસ્તારમાં મકાન થયું ધરાશાયી, ઘરવખરીને મોટુ નુકસાન
બોટાદના ગઢડા શહેરના જીનનાકા વિસ્તારમાં કાચુ મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જીનનાકા વિસ્તારમાં રહેતા ખાલિદભાઈ નામના વ્યક્તિનું મકાન ધરાશાયી થયું હતું. ગઢડા શહેરમાં છેલ્લા ત્રણેક દિવસથી વરસેલા વરસાદના કારણે કાચુ મકાન ધરાશાયી થયું હતું. જો કે મકાન ધરાશાયી થતાં ઘરવખરીના સામાનને મોટુ નુકશાન થયું છે પણ સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. તમને જણાવી દઈએ કે જામખંભાળિયા શહેરમાં પણ બે દિવસ પહેલા જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. ભારે વરસાદને લઈ જર્જરિત મકાન ધરાશાયી થયુ હતું. રાજડા રોડ પર આવેલું મકાન ધરાશાયી થયું હતું. જો કે મકાન ખાલી હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.
પંચમહાલના કાલોલમાં 6 મકાન ધરાશાયી
પંચમહાલના કાલોલમાં પણ વરસાદે ભારે તારાજી સર્જી હતી, જેના કારણે બે દિવસ પહેલા એકસાથે 6 મકાનો ધરાશાયી થયા હતા અને મેદાપૂરના બેટ ફળિયાના લોકો નિરાધાર બન્યા હતા. અંદાજે 130 પરિવાર ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યો હતો અને અનાજ, પાણી, વીજળીની સુવિધાથી વંચિત જોવા મળ્યા હતા, કારણ કે રસ્તાઓ ધોવાઈ જતા લોકો સંપર્ક વિહોણા બન્યા હતા.