16મી ઓક્ટોબરે ‘વર્લ્ડ સ્પાઈન ડે’એ જાગૃતિ ફેલાવવા માટેના વિવિધ કાર્યક્રમો યોજાશે. સ્પાઈન એટલે કે કરોડરજ્જુ સંબંધિત તકલીફો છેલ્લા કેટલાક સમયથી વકરી છે. કરોડરજ્જુને લગતી તકલીફથી જે દર્દી પીડાય છે તેમાં 20 ટકા દર્દી તણાવથી ગ્રસ્ત રહે છે, જેને સાઈકોસોમેટિક પેન પણ કહેવાય છે.
તણાવના કારણે સ્નાયુઓમાં પણ તણાવ આવે છે, જે કમર દર્દ માટેનું કારણ બને છે. સિવિલ કેમ્પસની સરકારી સ્પાઈન ઈન્સ્ટિટયૂટના તબીબોના કહેવા પ્રમાણે પહેલાં કરોડરજ્જુ કે કમર દર્દના મોટા ભાગના દર્દીઓની વય 50 વર્ષ અથવા તો તેનાથી વધારે હતી જોકે આજે 30થી 40 વર્ષની વયે કેસ આવવા લાગ્યા છે. સ્પાઈન ઈન્સ્ટિટયૂટના ડાયરેક્ટર ડો. પિયુષ મિત્તલે જણાવ્યું હતું કે, આરામદાયક જીવનશૈલીના કારણે પણ કમર દર્દીના દર્દીઓની સંખ્યા જોવા મળી રહી છે. હોસ્પિટલમાં રોજના અંદાજે 100 જેટલા દર્દીઓ આવતાં હોય છે, તેમાં નાના બાળકોથી માંડીને 80 વર્ષ કે તેથી વધુ વયના દર્દીઓ સામેલ છે. 60 વર્ષથી વધારેની ઉંમરમાં કમર દર્દના દર્દીઓમાં 30 ટકા દર્દીઓમાં ઓપરેશનની જરૂરિયાત હોઈ શકે છે. જ્યારે યુવા વયે 10થી 15 ટકા જેટલા દર્દીઓમાં ઓપરેશન કરવાની જરૂર હોય છે. આ સિવાય ફિઝિયોથેરાપી-કસરત કરવાથી દર્દી સ્વસ્થ થઈ શકે છે. તબીબોએ કહ્યું કે, છેલ્લા ત્રણ માસમાં 2669 દર્દી સ્પાઈન ઈન્સ્ટિટયૂટમાં નોંધાયા છે.