ભાવનગર રાજકોટ રોડ ઉપર આમલા પાસે બજુડ પાટીયાથી પસાર થતી જાનની બસમાં એકાએક આગ લાગતા જાનૈયા એવો રજડી પડ્યા છે. ફાયર બ્રિગેડ ઘટનાસ્થળ પહોંચી આગને કાબુમાં લીધી. આગ તો કાબુમાં આવી ગઈ છે પરંતુ લાડી લેવા નીકળેલ વરરાજા અને જાનૈયાઓ સુરક્ષિત રીતે લગ્નસ્થળ પર પંહોચે તેવી વ્યવસ્થા કરવાને લઈને વિનંતી કરવામાં આવી.
ગારીયાધાર તરફ જાનની બસમાં આગની દુર્ઘટના
જાનૈયાથી ભરેલ બસ ભાવનગર નારી ગામથી ગારીયાધાર નજીકના ઘોબા ગામે જતી હતી. દરમિયાન બસમાં આગ લાગવાની દુર્ઘટના બનવા પામી. ભાવનગર નજીકના નારી ગામે રહેતા સતીશ મુકેશભાઈ સોલંકીની જાન ગારીયાધાર તરફ જઈ રહી હતી ત્યારે બજુડના પાટિયા પાસે બસમાં એકાએક આગ લાગતા હોબાળો મચી ગયો હતો. બસમાં આગ લાગતા તમામના જીવ તાળવે ચોંટી ગયા. જાનૈયાઓ પોતાનો જીવ બચાવવા સરસામાન અને ચપ્પલ મૂકીને બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો.
તમામ સામાન બસમાં ભસ્મીભૂત
આ ઘટનામાં કમનસીબી એ રહી કે આજે લગ્ન છે ત્યારે જાનૈયાઓ અને વરરાજાઓનો કપડાંસર તમામ સામાન બસમાં ભસ્મીભૂત થઈ ગયું છે. હાલ જાનૈયાઓ રજડી પડ્યા છે વરરાજો પણ રજડી પડ્યો છે ફાયર બ્રિગેડ એક કલાક પછી ઘટના સ્થળે પહોંચી હતી એવો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે આ બનાવ ભાવનગર રાજકોટ રોડ ઉપરના બજુડ ગામના પાટીયા પાસેનો છે આજે સવારે બનાવ બન્યો છે.