ભાવનગરમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં કુલપતિ પદને લઈને પુનઃ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી (MKB)માં છેલ્લા કેટલાક સમયથી કુલપતિ પદની જગ્યા ખાલી પડી છે. દરમ્યાન એમ.એમ.ત્રિવેદીની 2022થી કાર્યકારી કુલપતિ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. હવે ફરી MKB યુનિવર્સિટીમાં કુલપતિ પદને લઈને ભરતી પ્રક્રિયા શરુ કરાઈ છે અને અરજદારો 6 માર્ચ સુધી અરજી કરી શકશે.
યુનિવર્સિટીમાં આંતરિક જૂથવાદ
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીને હવે નવા કુલપતિ મળશે. યુનિવર્સિટીમાં કુલપતિપદ માટેની જગ્યા 3 વર્ષથી ખાલી છે. અગાઉ કુલપતિ માટે ડો.મહેશ છાબરીયાનું નામ જાહેર થયું હતું. પરંતુ તેમણે ચાર્જ ના લેતા ડો.એમ.એમ.ત્રિવેદીને ઇન્ચાર્જ કુલપતિ તરીકે યથાવત રાખવામાં આવ્યા હતા. MKB યુનિવર્સિટીમાં કુલપતિને લઈને આંતરિક જૂથવાદ જોવા મળે છે. આંતરિક ખેંચતાણના કારણે જ યુનિવર્સિટી લાંબા સમયથી કુલપતિથી વંચિત છે. હાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોષી વિવાદમાં સપડાયા હતા. કુલપતિ તરીકે નિમણૂંક પામ્યાના એક માસમાં જ કાર પર સાયરન લગાવવાને લઈને વિવાદમાં જોવા મળ્યા. જ્યારે હવે MKBના કુલપતિ કોણ બનશે તેને લઈને શિક્ષણ જગતમાં ચર્ચાનો દોર શરૂ થયો છે.
3 વર્ષથી કુલપતિનું સ્થાન ખાલી
MKB યુનિવર્સિટીની સ્થાપના 1978માં થઈ હતી. મહારાજા કૃષ્ણકુમારસિંહ ગોહિલ ભાવનગર યુનિવર્સિટી ૩ કેમ્પસમાં ફેલાયેલ છે. યુનિવર્સિટીમાં આર્ટસ, કોમર્સ અને સાયન્સ ફેકલ્ટી ઉપરાંત અન્ય વિવિધ કોર્ષને પણ સામેલ કરાયા છે. યુનિવર્સિટીમા અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ વિવિધ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. 3 વર્ષથી કુલપતિના અભાવે યુનિવર્સિટી કેટલીક બાબતોમાં મહત્વના નિર્ણય લઈ શક્તિ નથી.
6 માર્ચ સુધી કરી શકાશે અરજી
હવે ફરી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં ત્રણ વર્ષ થી ખાલી પડેલી કુલપતિની જગ્યા માટે ફરી વખત ભરતી પ્રક્રિયા શરૂ કરાઈ છે. આગામી 6 માર્ચ સુધી MKB યુનિવર્સિટીના કુલપતિ પદ માટે ઓનલાઈન અરજી કરી શકાશે. નવા નિયમ મુજબ કુલપતિપદના હોદ્દાની મુદ્દત 5 વર્ષ અને 65 વર્ષ સુધી ની રહેશે. આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ MKB યુનિવર્સિટીમાં આગામી દિવસોમાં નવા કુલપતિ જોવા મળી શકે.