ગુજરાતમાં આઠ મહાનગરો સહિત વિવિધ શહેરોની આવાસ યોજનાઓમાં નબળા બાંધકામને કારણે આવાય યોજનાઓ પાંચથી દસ વર્ષમાં ખંડેર બની રહી છે, નબળા બાંધકામ માટે ભાજપા શાસકોની કટકી, કમિશન, કોન્ટ્રાક્ટની નીતિ જવાબદાર છે.
અમદાવાદના વટવા સહિત રાજ્યભરમાં વિવિધ ઠેકાણે આવાસો ખંડેર કે જર્જરિત થયા છે. આ કિસ્સાઓમાં ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા સામે ફોજદારી ગુનો દાખલ કરવો જોઈએ, તેમ વિપક્ષ કોંગ્રેસે જણાવ્યું છે. પોરબંદર ખાતે આવેલ 2448 આવાસ જે વર્ષ 2014માં બન્યા હતા, જે આજે સંપૂર્ણપણે જર્જરીત થયા છે અને 10 વર્ષમાં જ ત્યાં રહેનારા પરિવારો માટે ગમે ત્યારે દુર્ઘટના સર્જાય તે હદે જર્જરીત થઈ રહ્યા છે. ભાવનગરના ફુલસર પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં પાયાના પ્રશ્નોના કારણે રહીશોને હાલાકી છે. સુભાષનગર વિસ્તારના હમીરજીપાર્કની બાજુમાં આવેલી 2548 પ્રધાનમંત્રી આવાસ યોજના બે વર્ષ પૂર્વે ગત ઓગસ્ટ-2022માં ફાળવવામાં આવી હતી. પાલનપુરના સદરપુરા ગામે કરોડોના ખર્ચે બનેલી આવાસ યોજના છેલ્લા 8 વર્ષથી ધૂળ ખાઈ રહી છે. રાજીવ આવાસ યોજનાના 1392 આવાસ ગૌચરની જમીનમાં બનાવી દેવાયા હતા. અમદાવાદના વટવામાં 200 કરોડના ખર્ચે આવાસ યોજનાના એક હજારથી વધુ મકાન વપરાયા વગર જ જર્જરિત મકાનો તોડી પાડવાનું શરૂ કર્યું છે. 2022માં લોકાર્પણ કરાયેલા રાજકોટમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 128 મકાનો ધૂળ ખાય છે. રાજકોટમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂડા દ્વારા વૃંદાવન સોસાયટીમાં 320 જેટલા ફ્લેટનું બાંધકામ કરાયુ છે જે 8 માસમાં જ ખખડી ગયાં છે.