મિડિલ ઈસ્ટના દેશ ઈરાનમાં કોલસાની ખાણમાં શનિવારે રાત્રે 9 વાગે મોટો વિસ્ફોટ થયો હતો. ઈરાનમાં કોલસાની ખાણમાં મિથેન લીકેજને કારણે વિસ્ફોટ થયો હતો. મીડિયાના અહેવાલ મુજબ આ વિસ્ફોટમાં લગભગ 30 લોકોના મોત થયા છે અને 17 લોકો ઘાયલ થયા છે.
કોલસાની ખાણમાં 70 લોકો કરી રહ્યા હતા કામ
મીડિયા અહેવાલ અનુસાર કોલસાની ખાણમાં આ વિસ્ફોટ રાજધાની તેહરાનથી 540 કિલોમીટર દૂર તબસમાં થયો હતો. કોલસાની ખાણમાં શનિવારે મોડી રાત્રે આ અકસ્માત થયો હતો. વિસ્ફોટ બાદ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. મળતી માહિતી મુજબ વિસ્ફોટ સમયે કોલસાની ખાણમાં લગભગ 70 લોકો કામ કરી રહ્યા હતા.
ઈરાનની ખાણોમાં અગાઉ પણ દુર્ઘટના થઈ
ઈરાનમાં કોલસાની ખાણમાં આ પ્રકારની દુર્ઘટના પહેલીવાર નથી થઈ, આ પહેલા પણ ઈરાનમાં સમયાંતરે આવી દુર્ઘટના થતી રહી છે. વર્ષ 2013માં બે અલગ-અલગ ખાણોમાં દુર્ઘટનાઓ સામે આવી હતી. વર્ષ 2013માં બનેલ દુર્ઘટનામાં 11 કામદારોના મોત થયા હતા. આ પહેલા વર્ષ 2009માં પણ સમયાંતરે અનેક દુર્ઘટનાઓ સામે આવી હતી, જેમાં 20 મજૂરોના મોત થયા હતા. 2017માં કોલસાની ખાણમાં વિસ્ફોટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા 42 લોકો મોત થયા હતા.
અકસ્માતોનું કારણ શું છે?
ઈરાનમાં ખનન વિસ્તારોમાં વારંવાર થતા વિસ્ફોટો અને દુર્ઘટના માટે સલામતી ધોરણોને જવાબદાર ગણવામાં આવે છે. આ ઉપરાંત જે સમયે આ અકસ્માત થયો તે સમયે ખાણમાં કામદારો કામ કરી રહ્યા હતા ત્યારે અટાનક વિસ્ફોટના કિસ્સામાં ત્યાંથી બચવા માટે કોઈ ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ ન હતી. આને કારણે અપૂરતી ઈમરજન્સી સેવાઓને ઘણીવાર મૃત્યુ માટે જવાબદાર ગણવામાં આવે છે.
ઈરાનમાં કેટલા કોલસનો વપરાશ થાય છે?
એક તરફ ઈરાન તેલના ઉત્પાદન માટે જાણીતું છે. તેમજ ઈરાનમાં ઘણા પ્રકારના ખનિજોનું ઉત્પાદન પણ ઘણું વધારે છે. ઈરાન વાર્ષિક આશરે 3.5 મિલિયન ટન કોલસાનો વપરાશ કરે છે, પરંતુ દર વર્ષે તેની ખાણોમાંથી માત્ર 1.8 મિલિયન ટન કોલસો કાઢે છે. બાકીનો કોલસો આયાત કરવામાં આવે છે, જેનો ઉપયોગ મોટાભાગે દેશની સ્ટીલ મિલો માટે થાય છે.