સુરતમાં પોલીસે અસામાજિક તત્વોનું જાહેરમાં સરઘસ કાઢયું છે,આરોપીઓએ સરકારી બસ પર પથ્થરમારો કરીને નુકસાન પહોંચાડયું હતુ જેને લઈ પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી અને ત્યારબાદ જે જગ્યા પર પથ્થરમારો કર્યો હતો ત્યાં જ સરઘસ કાઢી જાહેરમાં માફી મંગાવી હતી,તો લોકોએ પોલીસની કામગીરીના વખાણ પણ કર્યા હતા.
BRTS બસમાં તોડફોડ કરી હતી
ઉધના વિસ્તારમા આરોપીએ મુસાફરો ભરેલી બસમાં પથ્થરમારો કર્યો હતો અને તેજ વિસ્તારમાં પોલીસે જાહેરમાં સરઘસ કાઢયું હતુ,બીઆરટીએસ રૂટમાં પહેલા રીક્ષા ચાલકે બસના ડ્રાઈવર સાથે માથાકૂટ કરી અને ત્યારબાદ તેના સાગરિતોને બોલાવી ડ્રાઈવરને માર માર્યો હતો અને બસમાં તોડફોડ કરી છે,જેને લઈ ભયનો માહોલ ઉભો થયો હતો ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો અને સમગ્ર ઘટનામાં આરોપીઓની તે જ દિવસે ધરપકડ કરી હતી.
રીક્ષાચાલકે સાગરીતો સાથે મળી ડ્રાઈવરને માર્યો હતો
બીઆરટીએસ રૂટમાં બસ અથવા ઈમરજન્સી સિવાયના વાહનો ચલાવી શકતા નથી,ત્યારે બીઆરટીએસ રૂટમાં રીક્ષા ઘુસાડીને રીક્ષા ચાલકે બસના ડ્રાઈવરને માર માર્યો હતો અને ત્યારબાદ બસના કાચ તોડીને પથ્થરમારો કર્યો ત્યારે મુસાફરો બસમાંથી નીચે ઉતરી ગયા હતા અને નાસભાગ મચી ગઈ હતી.બસ ડ્રાઈવરે હોર્ન મારતા રીક્ષા ચાલકને ના ગમ્યું અને માથાકૂટ થઈ અને પથ્થરમારો કર્યો હતો ત્યારે આ સમગ્ર ઘટનાને લઈ સીસીટીવી પણ સામે આવ્યા હતા.
વરાછામા પણ ગઈકાલે નીકાળ્યો આરોપીનો વરઘોડો
વરાછા વિસ્તારમાં ચારિત્ર્ય પર શંકા રાખીને મંગેતર યુવતીની ઘાતકી હત્યા કરનાર આરોપીને સ્થાનિક પોલીસની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી મહીસાગરના જંગલમાંથી ઝડપી પાડ્યો છે.મહીસાગરના જંગલમાં છૂપાયો હોવાની બાતમી મળતા પોલીસની એક ટીમ ત્યાં પહોંચી હતી. જ્યાં વરાછા પોલીસની ટીમે જંગલમાં જઈને આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીની ધરપકડ બાદ સુરત લાવીને પોલીસે તેનો વરઘોડો કાઢીને કાયદાનો પાઠ ભણાવ્યો હતો.