યુપીના સંભલ જિલ્લો છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. પહેલા જામા મસ્જિદનો સરવેને લઇને આદેશ, પછી તોડફોડ અને આંગચંપીનો બનાવ બન્યો. જે બાદ પોલીસ એક્શનમાં આવી. આ બધાની વચ્ચે ગેરકાયદેસર બાંધકામો તોડતા 46 વર્ષ જુનુ મંદિર મળી આવ્યું. જે અતિક્રમણ કરીને છેલ્લા 46 વર્ષથી દબાવી રાખવામાં આવ્યું હતું. દરવાજા ખોલવા પર જાણવા મળ્યું કે આ મંદિરમાં હનુમાનજીની મૂર્તિ છે અને શિવલિંગ પણ સ્થાપિત છે. જોકે મામલો આટલેથી અટક્યો નહોતો
હિંદુઓમાં ખુશીની લાગણી
ગઇકાલે આ મંદિરમાં 46 વર્ષે પહેલીવાર સવારની આરતી કરવામાં આવી હતી. ભકતોએ હાજર રહીને પૂજા પાઠ પણ કર્યા. ત્યારે આજે મંદિરની પાસે આવેલો કૂવો પુરી નાંખવામાં આવ્યો હતો તેને આજે ખોદવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જેમાંથી આજે ગણેશજી, કાર્તિકેય અને પાર્વતી માતાની મૂર્તિ મળી આવી. આ ઉપરાંત સ્વસ્તિક દોરેલી ઇંટો પણ મળી આવી. અત્યાર સુધીમાં 15 થી 20 ફૂટ કૂવો ખોદવામાં આવ્યો છે. કૂવામાંથી મળી આવેલી વસ્તુઓ જોઇને સૌ કોઇ ચોંકી ગયા.
વધુ મૂર્તિઓ મળી શકે
આવી સ્થિતિમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ કૂવામાં વધુ ‘ઈતિહાસ’ છુપાયેલો હોઈ શકે છે. કાર્બન ડેટિંગ દ્વારા સત્ય શોધવાની માંગ ઉઠી છે. આખો મામલો સંભલ શહેરના ખગ્ગુ સરાય વિસ્તારનો છે. જ્યાં 46 વર્ષ બાદ શિવ મંદિર ખુલવાના ત્રીજા દિવસે એક કૂવામાંથી 3 મૂર્તિઓ મળી આવી હતી. મહત્વનું છે કે સંભલમાં કોમી રમખાણો બાદ 1978થી બંધ રાખવામાં આવેલ આ મંદિરને પોલીસ-પ્રશાસન દ્વારા તાજેતરમાં ખોલવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ એક પ્રાચીન શિવ મંદિર છે અને તેની પાસે એક કૂવો પણ મળ્યો છે. અતિક્રમણને કારણે કૂવો ઢંકાઈ ગયો છે અને તેના ખોદકામ દરમિયાન ત્રણ મૂર્તિઓ અને તેના પર સ્વસ્તિકવાળી ત્રણ ઈંટો પણ મળી આવી છે.
વધુ મૂર્તિઓ મળવાની સંભાવના
ખોદકામ દરમિયાન કૂવાની અંદરથી વધુ મૂર્તિઓ મળવાની શક્યતા છે. ખોદકામને કારણે પ્રતિમાઓ તૂટી જવાની આશંકાથી હાલ પુરતું ખોદકામ બંધ કરી દેવામાં આવ્યું છે. સાથે જ મૂર્તિઓ મળ્યા બાદ સ્થાનિક હિન્દુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેઓએ ઢોલ અને સંગીતનાં સાધનો વડે પૂજાની સાથે ભજન અને કીર્તન ગાવાનું શરૂ કર્યું છે. હાલ ઘટનાસ્થળે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
સંભલના ડીએમ રાજેન્દ્ર પેન્સિયાએ કહ્યું છે કે લગભગ 46 વર્ષ પછી ખોલવામાં આવેલા મંદિર અને કૂવાની કાર્બન ડેટિંગ માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) ને પત્ર લખવામાં આવ્યો છે. આ મંદિરમાં ફરીથી પૂજા શરૂ થઈ ગઈ છે. દાવો કરવામાં આવે છે કે આ રમખાણો પછી અહીંની હિંદુ વસ્તી પોતાના ઘરો વેચીને ભાગી ગઈ હતી. પછીના દિવસોમાં આ મંદિર અને કૂવો પણ અતિક્રમણનો ભોગ બન્યો.
શું કહે છે સ્થાનિકો ?
બીજી તરફ સંભલના સ્થાનિક લોકોનો દાવો છે કે આ મંદિર સાંપ્રદાયિક રમખાણો અને હિંદુ વસ્તીના વિસ્થાપનને કારણે 1978થી બંધ હતું. નગર હિંદુ મહાસભાના સંરક્ષક વિષ્ણુ શંકર રસ્તોગી (82)એ જણાવ્યું કે તેઓ તેમના જન્મથી જ ખગ્ગુ સરાઈમાં રહે છે. 1978ના રમખાણો બાદ હિન્દુ સમુદાયને આ વિસ્તાર છોડીને ભાગવું પડ્યું હતું. ત્યારથી અમારા કુળગુરુને સમર્પિત આ મંદિર બંધ હતું.