મહેસાણા જિલ્લામાં ગાજવીજ સાથે પડેલા વરસાદથી આંબલિયાસણ, દેવરાસણ અને હાડવી ગામમાં વીજળી પડવાથી પશુઓનાં મોત નિપજ્યાં હતાં. મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલની સુચનાથી વહિવટી તંત્રએ ઝડપથી કાર્યવાહી પુરી કરી પશુપાલકોને પશુ દીઠ રૂ.37,500ની સહાય આપવામાં આવી હતી. જેમાં કુલ 2.25 લાખની સહાય ચુકવાઈ હતી. પશુ મૃત્યુ અન્વયે પશુ માલિકોને તુરંત સહાય ચુકવવામાં આવી હતી.
મહેસાણા જિલ્લાના આંબલિયાસણમાં કનુભાઈ રબારીને રૂ.75,000, દેવરાસણના ભરતભાઈ ગઢવીને રૂ.75,000, હાડવીના રમેશભાઈ પ્રજાપતિને રૂ.37,500 અને જયંતીજી ઠાકોરને રૂ.37,500ની સહાયનો ચેક આપવામાં આવ્યો હતો. વાવાઝોડા અને વીજળીથી મૃત્યુ પામેલા પશુઓના માલિકોને સહાય શુક્રવારે ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, ટીડીઓ હરેશભાઈ ચૌધરી, રાજુભાઈ ચૌધરી સહિત જિલ્લા અને તાલુકાના સદસ્યો સહિતની હાજરીમાં સહાયના ચેક અપાયા હતા.