ચાણસ્મા તાલુકાના મોટાભાગના લોકો ખેતીવાડી પર નિર્ભર છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. પરંતુ કેટલીક જગ્યાએ જમીનમાં પિયત માટે પુરતું પાણી ન મળવાના કારણે લોકોને રવિ સિઝનનું વાવેતર ન કરી શકતા હોવાથી હાલના ચાણસ્મા તાલુકાના ભાજપ પ્રમુખ અને ખેતીવાડી સાથે સંકળાયેલા કીરણ જાનીની રજૂઆતો અને તાલુકાના લોકોના સહકારથી ચાણસ્મા તાલુકાના ત્રણ ગામોમાં આવેલ તળાવો સુજલામ સુફ્લામ થકી ભરવા માટે સરકાર સહિત તંત્ર સમક્ષ રજુઆતો કરતા આખરે સરકારે ચાણસ્મા તાલુકાના ત્રણ ગામોના 6 તળાવોને સુજલામ સુફ્લામ યોજના અંતર્ગત ભરવા માટે રૂપિયા 4.50 કરોડની ફળવણી કરતા પંથકના ખેડૂતોમાં આનંદ છવાયો છે. તાલુકા ભાજપ પ્રમુખ કિરણ જાનીએ પણ તંત્ર અને સરકારનો આભાર માન્યો હતો અને હવે પંથકમાં ખેડૂતો પોતાના ખેતરો થકી દરેક સિઝનમાં પાકોનું ઉત્પાદન કરી શકશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ચાણસ્મા તાલુકાના સરદારપુરા તથા લણવા અને દાંતકરોડી ગામના તળાવમાં સુજલામ સુફ્લામ યોજના થકી ભરવા માટે કરાયેલ સર્વે બાદ સરદારપુરા ગામમાં 3 તળાવોમાં જીતોડા ચાણસ્મા પાઇપલાઇન નેટવર્કની હયાત પી- 4 પાઇપલાઇનમાંથી ગામના ત્રણ સર્વે નંબરના તળાવોમાં રૂપિયા 1 કરોડ 63 લાખ 20 હજારના ખર્ચે આર.સી.સી એન.પી 3 પાઇપલાઇન દ્વારા પાણી નંખાશે જ્યારે તાલુકાના લણવા ખાતે એક અને દાંતકરોડી ગામે પણ બે તળાવોમાં મણુંદ પીંઢારપુરા નેટવર્કની હયાત પી 3 પાઇપલાઇન દ્વારા 2 કરોડ 94 લાખ 97 હજાર રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. જેથી ત્રણેય ગામોના 6 જેટલા તળાવોમાં સુજલામ સુફ્લામ અંતર્ગત પાણી ભરાશે જેથી કરીને ખેડુતો ની સાથે સાથે પશુપક્ષીઓ માટે પણ વધુ ઉપયોગી બની રહેશે.
ભૂગર્ભ જળ ઊંચું લાવવા 30 રિચાર્જ હોલ પણ મંજૂર કર્યા
અગાઉના સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા અટલ ભુજલ યોજના તળે કેમેરા દ્વારા ચાણસ્મા તાલુકાનું સર્વે કરાયું હતું. જેમાં 30 જેટલા ગામોમાં ભુગર્ભ જળ 1 હજાર ફુટથી નીચે જતું રહ્યું છે જેને કોઇપણ ભોગે ઉંચુ લાવવા માટે અટલ ભુજલ યોજતા તળે 30 રિચાર્જ હોલ મંજૂર કર્યા છે જેનું ટેન્ડર પણ પડી ગયું છે જે 30 ભુગર્ભ જળના 900 ફુટના કુવા મંજૂર થયા છે જેથી કરીને ભુગર્ભજળ ની સપાટી ઉંચી આવશે.