વિજાપુર તાલુકાના દેવપુરા ગામે પૈસાનો વરસાદ કરાવવાની તાંત્રિક વિધિના નામે 2 ખેડૂતોએ 14.40 લાખ રૂપિયા ગુમાવ્યા હતા. તાંત્રિકની વાતોમાં આવી વિધિ કરી ઘરે ગયેલ પોટલું ખોલતા અંદરથી કાગળો નીકળ્યા હતા. જેથી ખેડૂતોએ તાંત્રિકના ડ્રાઇવરને કાર સહિત વિધિમાં વપરાતા મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો. જ્યારે 2 શખ્સો ફરાર રહ્યા હતા. વિજાપુર પોલીસે કુલ 3 ઠગબાજો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વિજાપુર તાલુકાના દેવપુરા પટેલવાસમાં રહેતા ભરતભાઇ બળદેવભાઈ પટેલ નામના ફરિયાદી ખેડૂત ગાંભોઈ તાલુકાના વાવડી ગામે રહેતા ગૌતમભાઈ પંચાલને ત્યાં ગાયો ખરીદવા ગયા હતા. જ્યાં તેમને તાંત્રિક વિધિ દ્વારા 100 અને 200 રૂપિયાની નોટોનો વરસાદ કરી ફરિયાદીને લાલચ જગાડી હતી અને પોતાના ગુરુ ખૂબ પૈસાનો વરસાદ કરે છે જેઓ આવવાના છે. હું તેમની સાથે તમારી મિટિંગ કરાવીશ કહી તેને ફરિયાદીને રાજકોટના કમલેશ ઉર્ફે મહાકાલ મનુભાઈ જોશી સાથે મુલાકાત કરાવી હતી, ત્યારે મહાકાલે તેઓ સ્મશાનમાં વિધિ કરી બબરા ભૂતને પ્રસન્ન કરે છે. જે પૈસાનો વરસાદ કરે છે. તમારે આવું કરાવવું હોય તો ધૂપ લાવવો પડે અને વિધિ કરાવવી પડે કહી તેમની પાસેથી પાંચ લાખ રોકડા અને 2 લાખ રુપિયા આંગડિયુ મહાકાલના નામે રાજકોટ ખાતે કરાવ્યું હતું. જેના 15 દિવસ બાદ દેવપુરાના અન્ય એક ખેડૂત પિયુષભાઈ સાથે સ્મશાનમાં બોલાવ્યા હતા. જેથી બન્ને ત્યાં જતા એક પોટલી લોક મારેલી આપી હતી અને પીયૂષભાઈ પાસેથી પણ 5.50 લાખ આંગડિયુ કરાવી પડાવ્યા હતા અને વિધિ કરી એક લોક મારેલ થેલો આપ્યો હતો. અને 3 દિવસ રહી ખોલવા કહ્યું હતું. જેના 3 દિવસે મહાકાલે ફેન કરી બીજા રૂ.1.50 લાખ માંગી આંગડિયુ કરાવ્યું હતું. જોકે થેલો ખોલતા અંદરથી માત્ર કાગળિયા નીકળ્યા હતા.
જેથી ફરિયાદીએ મહાકાલને ફેન કરતા તેને ઠીક કર દુંગા કહી ફેન કાપી નાખ્યો હતો. જેથી પોતે છેતરાયાનું માની ફરિયાદી અને સાહેદ બન્ને જણા ફરીથી સ્મશાનમાં ગયા હતા. જ્યાં તેમને જોઈ મહાકાલ ભાગી ગયો હતો અને તેનો ડ્રાઇવર હર્ષ ઉર્ફે હિરન હસમુખભાઈ વરિયા રહે. રાજકોટવાળો ઝડપાઇ આવ્યો હતો. જેથી તેને કાર અને કારમાં રહેલ તાંત્રિક વિધિના સરસામાન સાથે પકડી પોલીસ હવાલે કરાયો હતો. જ્યાં ફરિયાદીની ફીરયાદ આધારે વિજાપુર પોલીસે ત્રણેય ઠગબાજો વિરુદ્ધ ગુનો નોંધી તાંત્રિક ડ્રાઈવરની ધરપકડ કરી જ્યારે ઠગ તાંત્રિક મહાકાલ સહિત 2 લોકો વોન્ટેડ હોઈ તેમની શોધખોળ અને વધુ તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.