30, એપ્રિલ અને બુધવારે અક્ષય તૃતીયા ઉર્ફે અખાત્રીજનું ઋષિ કાળથી ઉજવાતું મહાપર્વ છે. અખાત્રીજે દબદબાભેર ઉજવણી કરવામાં આવશે. વૈશાખ મહિનાના શુકલ પક્ષની ત્રીજના દિવસે શુભકાર્યો માટે વણજોયાં મુહુર્ત છે.
અખાત્રીજનો પ્રારંભ 30, એપ્રિલે સવારે 5.41 કલાકથી શરૂ થશે અને તેની શુભ અસર અને સંકેત બપોરે 12.18 કલાક સુધી ચાલુ રહેશે. મહેસાણા જિલ્લાના ખેડૂતો અખાત્રીજના શુભ દિવસે ખેતર ખેડી મુહૂર્ત કરશે. મંગળવારના રોજ શ્રી પરશુરામ જયંતીની દરેક શહેરમાં દબદબાભેર ઉજવણી કરાશે. ગ્રામીણ વિસ્તારોમાં અખાત્રીજનું વિશેષ મહાત્મ્ય રહેલું છે. કૃષિ સંસ્કૃતિ સાથે જોડાયેલા ખેડૂતોનું નાણાંકીય વર્ષ અખાત્રીજે પૂર્ણ થાય છે. ખેતી વિષયક નાણાંકીય વ્યવહારો આ દિવસે ચુકતે કરવાની વર્ષો જૂની પરંપરા રહી છે. જયારે ઉચ્ચ મધ્યમ વર્ગ અને આર્થિક સમૃધ્ધ વર્ગો આ દિવસે સુવર્ણ અને ચાંદીની ખરીદી કરશે. નવનિર્માણ પામનાર મકાનોનાં ખાત મુહૂર્ત થશે. નવાં વાહનો ખરીદાશે અને નવા વ્યાપાર ધંધાઓની શરૂઆત પણ થશે. અખાત્રીજ ઉર્ફે અક્ષય તૃતીયાનો દિવસ મુહૂર્તોનો રાજા છે અને કોઈપણ શુભ કાર્ય કરવા માટે કોઈ મુહૂર્ત જોવાની જરૂર નથી.