મંગળવારે કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાની સીધી અસર પ્રવાસન ઉદ્યોગને થઈ છે. મહેસાણા જિલ્લામાંથી એપ્રિલ મહિનાના અંતમાં કાશ્મીર માટે બુકીંગ કરાવનારા લોકોએ ધડાધડ તેમના બુકીંગ રદ કરાવવા ટૂર ઓપરેટરોને ફોન કરી રહ્યા છે. કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ 27 પ્રવાસીઓને ગોળીઓ ધરબી દેતાં સમગ્ર દેશમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે.
સ્વર્ગનો અનુભવ કરાવતા કાશ્મીરમાં પ્રવાસીઓ ઉપર હુમલાને પગલે હવે આગામી ઉનાળુ વેકેશનમાં મહેસાણા જિલ્લાના કાશ્મીરનાં પ્રવાસે જનારાઓમાં પણ ઘેરી ચિંતાના વાદળો છવાઈ ગયા છે. પરિવાર સાથે ઉનાળામાં કાશ્મીરની યાદગાર ટુર કરવાને બદલે હવે લોકો ટુર એજન્ટ પાસે બુકિંગ રદ કરાવવા માટે દોડાદોડ કરી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. જયારે કેટલાક પ્રવાસીઓએ કાશ્મીરના બદલે હિમાચલ અને પૂર્વ ભારતના પ્રવાસના સ્થળો બદલી નાંખ્યા છે.
ઉનાળાના વેકેશનમાં અગાઉથી પ્રવાસ માટેની તમામ તૈયારી કરનારા પરિવારો પણ હવે આ પ્રકારના હુમલાને કારણે ભયભીત બની ચુક્યા છે. ટૂરિઝમ બિઝનેસ સાથે સંકળાયેલા ટૂર ઓપરેટરો કહે છે કે, લોકો જીવના જોખમે પ્રવાસ ખેડવાને બદલે અન્ય લોકેશનનો વિચાર કરી રહ્યા છે. બુકિંગ કેન્સલ કરાવવા માટે સતત ફેન આવી રહ્યાં છે. અમારા હસ્તક બુક કરાયેલી લગભગ 17 બસો છેલ્લા 24 કલાકમાં જ રદ્દ કરાઈ છે. એટલે કશ્મીરની ટૂરના બુકિંગને તો અસર થવા જ માંડી છે. પરંતુ, આગામી દિવસોમાં અમરનાથ યાત્રાની તૈયારીઓ કરનારા શ્રાદ્ધાળુઓમાં પણ ભારે સંશય ઊભો થયો છે. અનેક ઠેકાણેથી બાબા બર્ફનીનાં દર્શન માટે દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રાદ્ધાળુઓ કાશ્મીર પહોંચતા હોય છે. જો કે, પહેલગામમાં જ આતંકવાદી હુમલાને પગલે હવે મહેસાણા જિલ્લામાંથી અમરનાથ દર્શને જનારાઓમાં હાલના તબક્કે અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવવાથી માંડીને તમામ તૈયારીઓ કરનારા શ્રાદ્ધાળુઓ હાલમાં થોભો અને રાહ જુઓ જેવો અભિપ્રાય બનાવી ચૂક્યા છે.