રાજ્ય સરકારના શ્રમ નિયામક, કે.ડી.લાખાણીના અધ્યક્ષ સ્થાને ડો.બાબાસાહેબ આંબેડકર ભવન, ગાંધીનગર ખાતે સમગ્ર રાજયની આઉટસોર્સિંગ એજન્સીઓને શ્રમ કાયદાઓનું માર્ગદર્શન આપવા માટે તાજેતરમાં એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વર્કશોપમાં શ્રમયોગીઓના હિતોના રક્ષણ અર્થે વિવિધ શ્રમકાયદાઓ જેવા કે લઘુત્તમ વેતન અધિનિયમ-૧૯૪૮, કોન્ટ્રાકટ મજૂર અધિનિયમ-૧૯૭૦, સમાન વેતન અધિનિયમ-૧૯૭૬, બોનસ ચૂકવણી અધિનિયમ-૧૯૬૫ તથા ગ્રેજ્યુઇટી ચૂકવણી અધિનિયમ-૧૯૭૨ અંગેની સમજૂતી આપવામાં આવી હતી. હાલના સમયમાં સરકારી કચેરીઓમાં GeM પોર્ટલ મારફત ટેન્ડર કરવામાં આવતાં હોઇ, તે બાબતે જાણકારી તથા સેવા આપતી એજન્સીઓની જવાબદારીઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આ વર્કશોપમાં રાજ્યભરની લગભગ 300 જેટલી એજન્સીઓ હાજર રહી હતી.
આ પ્રસંગે કે.ડી.લાખાણી એ વર્કશોપમાં હાજર એજન્સીઓના હોદ્દેદારોને સંબોધિત કરી માર્ગદર્શન પૂરું પાડયુ હતું તથા એજન્સીઓને શ્રમ કાયદાઓ વિષયક મૂંઝવણો તથા વિવિધ પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરી તેનું સમાધાન સૂચવવામાં આવ્યું તેમજ કાયદા/ સરકારશ્રીની આ અંગેની સૂચનાઓના અર્થઘટનના લીધે શ્રમયોગીઓને કોઇપણ પ્રકારનો અન્યાય ન થાય તેમજ તેમને મળવાપાત્ર લાભો સમયસર મળી રહે અને કોઇપણ પ્રકારની ફરિયાદોને અવકાશ ન રહે તે માટે તમામ સંબંધિતોએ કાળજી લેવા સૂચના આપવામા આવી હતી. આ પ્રસંગે અધિક શ્રમ આયુક્ત, ડૉ.વાય.એમ.શેખ, વિભાગીય નાયબ શ્રમ આયુક્તઓ, મદદનીશ શ્રમ આયુક્ત તથા શ્રમ આયુકતની કચેરી, ગાંધીનગરના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.