ભાવનગર જિલ્લાના વરતેજ નજીક આવેલા બુદ્ધનગરમાં રહેતા દુદાભાઈ ખોડાભાઈ બોરીચાના પરિવારમાં એક મહિલાનું મૃત્યુ થતાં તેઓની અંતિમ ક્રિયા માટે વરતેજ સ્મશાનમાં લાવવામાં આવ્યા હતા અને અહીં અગ્નિસંસ્કાર માટે લાકડા લેવા જતા અંદર બેઠેલું ઝેરી મધમાખીનું ઝુંડ છંછેડાયું હતું. મધમાખીએ લગભગ 35થી 40 લોકોને દંશ દીધા હતા. જેના કારણે સ્મશાનમાં અફરા તફરી મચી ગઈ હતી.
દંશની અસર થતા કોઈને ઝાડા ઉલટી, ચક્કર આવવા લાગ્યા
અસરગ્રસ્ત લોકોને સારવાર માટે તાત્કાલિક વરતેજ સરકારી દવાખાને દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવ બનતાં વરતેજના પૂર્વ સરપંચ કાનજીભાઈ જોગદીયા સહિતના આગેવાનો મદદ માટે પહોંચી ગયા હતા અને તાત્કાલિક સારવાર શરૂ કરાવી હતી. વધુમાં જિલ્લા કક્ષાએ જાણ કરીને ભાવનગરથી આરોગ્યની ટીમ બોલાવી લીધી હતી. મેડિકલ સારવાર બાદ રાહત થતાં તમામને રજા અપાઈ હતી. જોકે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.
અરવલ્લીના મેઘરજમાં ભમરાનું ઝૂંડ ત્રાટક્યું
તમન જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ અરવલ્લીના મેઘરજમાં ભમરાનું ઝૂંડ ત્રાટક્યું હતું. માળકંપાના ખેતરમાં કામ કરતા બે ખેડૂતને ભમરા કરડ્યા હતા. ભમરાઓએ ડંખ મારતા ખેડૂતોને ઝેરની અસર થઈ હતી અને બંને ખેડૂતને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
વડોદરાના વાઘોડિયામાં મધમાખીઓનો આતંક
વડોદરાના વાઘોડિયામાં પણ થોડા દિવસ પહેલા મધમાખીઓએ આતંક મચાવ્યો હતો. હાઈસ્કૂલ પાસે આવેલા ઝાડ પરથી મધમાખીઓ ઉડી હતી અને વિદ્યાર્થીઓને, સ્કૂલવાન ચાલકને ડંખ માર્યા હતા. રોડ પરથી પસાર થતાં લોકોને મધમાખીઓએ ડંખ માર્યા હતા. નજીકની સોસાયટીના લોકો ઘરમાં પૂરાઈ ગયા હતા. વાઘોડિયામાં સ્કૂલ છૂટ્યા બાદ આ ઘટના બની હતી. વિદ્યાર્થીઓ સ્કૂલવાનની રાહ જોતા ગેટ પાસે ઊભા હતા અને સ્કૂલવાનમાં બેસવાની તૈયારી કરતા હતા ત્યારે ઘટના બની હતી. અચાનક રોડ પર મધ માખીનું ઝુંડ આવી પહોંચ્યું હતું અને તમામને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.