ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગત 6 ડિસેમ્બર 2024થી કાર્પેટ એરિયા કર પદ્ધતિના મિલકત વેરાના બાકીદારો પાસેથી મિલકત વેરાની વસુલાત કરવા મહાનગરપાલિકાના તમામ વિભાગો દ્વારા ‘માસ જપ્તી ડ્રાઈવ’ શરૂ કરવામાં આવી છે. આ ‘માસ જપ્તી ડ્રાઈવ’ હેઠળ કુલ 952 મિલકતને ટાંચમાં લઈ સીલ કરવામાં આવી હતી.
7486 મિલકતમાં વેરો ભરપાઈ થયો
જ્યારે આ માસ જપ્તી શરૂ કર્યાની તારીખથી આજ સુધીમાં ભાવનગર મહાનગરપાલિકાને કુલ 7.03 કરોડની આવક થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ માસ જપ્તી થકી ડિસેમ્બર માસમાં જ મહાનગરપાલિકાને કુલ 6.79 કરોડની આવક થઈ હતી. જે ઓક્ટોબર માસની કૂલ 2.23 કરોડ તથા નવેમ્બર માસની કુલ 2.52 કરોડની આવકના બમણાં કરતાં પણ વધુ થઈ હતી. આ માસ જપ્તી ડ્રાઈવ શરૂ કર્યા તારીખથી આજ દિન સુધીમાં કુલ 7486 મિલકતમાં વેરો ભરપાઈ થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
માસ જપ્તી ડ્રાઈવને હજુ વધુ વેગવંતી બનાવવાનો વિચાર
જે પૈકી ડિસેમ્બર માસમાં જ કુલ 7241 મિલકતમાં વેરો ભરપાઈ થયેલો છે, જે ઓક્ટોબર માસના 2329 મિલકત તથા નવેમ્બર માસના કુલ 2463 મિલકતના બમણા કરતાં પણ વધારે છે. આગામી દિવસોમાં મહાનગરપાલિકા દ્વારા આ માસ જપ્તી ડ્રાઈવને હજુ વધુ વેગવંતી બનાવવા તથા મિલકત વેરાના બાકીદારો સામે કડક કાર્યવાહી કરવા બાકીદારોની મિલકતોમાં ઉપલબ્ધ કરાવેલ નળ તથા ગટર કનેક્શન કાપવા અંગેની કાર્યવાહી અમલમાં મુકવામાં આવી છે.
વન ટાઈમ સેટલમેન્ટ યોજનાનો 3000થી વધુ લોકોએ લીધો લાભ
ભાવનગર મહાનગરપાલિકા ખાતે વન ટાઈમ ઈન્સ્ટોલમેન્ટ સ્કીમ 2.0 (OTIS 2.0) પણ હાલ અમલી છે. આ સ્કિમ હેઠળ મિલકત વેરાની કુલ બાકી રકમના એક સરખા કુલ 5 હપ્તા કરી આપવામાં આવતાં હોય તથા આ પાંચ હપ્તા ચાલુ વર્ષ સહિત આગામી પાંચ વર્ષમાં ભરપાઈ કરવાના રહેતા હોય તથા પાછલી બાકી રકમ અને ચાલુ બાકી રકમ પર ચઢતુ ચાલુ વર્ષનું વ્યાજ માફ કરી આપવામાં આવતું હોય છે, મિલકતધારકો દ્વારા મોટી સંખ્યામાં આ યોજનાનો લાભ મેળવવામાં આવી રહ્યો છે. આ યોજના ગત 5 ડિસેમ્બર 2024થી લાગુ કર્યાની તારીખથી આજ દિન સુધીમાં કુલ 3957 મિલકતધારકો આ યોજનામાં જોડાયા છે, જે પૈકી કુલ 3020 મિલકતધારકોએ તેઓનો પ્રથમ હપ્તો પણ ભરપાઈ કરી દીધો છે. જેના થકી મહાનગરપાલિકાને કુલ 1.89 કરોડની આવક થયેલી છે.